![]()
વડોદરા, તા.29 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહુવડ પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તા.૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ તૂટી પડવાથી ૨૨ લોકોના મોત થયા બાદ બંધ થયેલા મહત્વપૂર્ણ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા આ તૂટેલા બ્રિજ પરનું સમારકામ અને ટ્રાયલ પૂર્ણ થયા પછી તા.૨ એપ્રિલથી ટુ-વ્હિલરો અને રાહદારીઓ માટે ફરીથી ખોલવામાં આવશે.
ગંભીરા પુલનું કામ ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, ૧ એપ્રિલના રોજ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો ૨ એપ્રિલથી પુલનો ઉપયોગ શરૃ કરે તેવી શક્યતા છે.
મહી નદી પરના તૂટી ગયેલા પુલને હાલમાં સંપૂર્ણ તોડી પાડવાના બદલે પ્રાથમિક તબક્કે સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને કામચલાઉ રીતે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ ઇન્ક્રીમેન્ટલ રોલિંગ તકનીકનો ઉપયોગ કરીને બ્રિજ પરના તૂટી ગયેલા સ્પાન પર લગભગ ૧૦૦ ટન વજનનો ૪૭ મીટર લાંબો સ્ટીલ ગર્ડર સ્થાપિત કરવામાં આવ્યો હતો. બ્રિજ પર તૈયાર થયેલા માળખા પર ગર્ડર બેસાડવા તેને ૨૫૦ મીમીની ગતિએ આગળ ધકેલવામાં આવ્યું હતું, સમગ્ર રોલઆઉટ તેના ૭૫ દિવસમાં પૂર્ણ થયું હતું.
આરએન્ડબી વિભાગે વાહનોની અવરજવર માટે સપાટી પર ચાર ઇંચ કોંક્રિટ નાખવાનું પૂર્ણ કર્યું છે. અધિકારીઓનો અંદાજ છે કે પુલ શરૃ થયા બાદ રોજ ૫થી ૭ હજાર વાહનચાલકોને રાહત મળશે. ઉલ્લેખનીય છે કે સમારકામ શરૃ થાય તે પહેલાં, બ્રિજ પર ૧૨ ટનનું ટેન્કર ૨૮ દિવસ સુધી લટકતું રહ્યા બાદ દૂર કરાયુંં હતું.
પુલની નાજુક સ્થિતિને કારણે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેના બદલે, એન્જિનિયરોએ રોલઆઉટને લગભગ ૮૦ મીટર સુધી લંબાવવા માટે ૩૦ મીટરનો લોંચિંગ નોઝ તૈનાત કર્યો હતો, જેમાં હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા અંતિમ પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું હતું. ગંભીરા બ્રિજ તૂટી પડયા બાદ વડોદરા અને આણંદ વચ્ચેના મુસાફરોને ૫૦ કિમી સુધી લાંબા માર્ગે જવાની ફરજ પડી હતી.














