Free Ration Beneficiaries Gujarat: વિધાનસભામાં આજે અન્ન-નાગરિક પુરવઠા વિભાગની બજેટ માંગણી સામે કોંગ્રેસના ધારાસભ્યએ કાપ દરખાસ્ત મુકતા સરકાર સામે આકરા પ્રહારો કરી જણાવ્યું કે રાજ્યમાં મફત અનાજ વિતરણમાં પાંચ વર્ષમાં લાભ લેનારા 41 લાખ લોકો વધ્યા છે.
વિકાસ મોડલ પર શૈલેષ પરમારના પ્રહાર
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારના વિકાસ મોડલને વિકાસશીલ ગરીબનું મોડલ ગણાવીને કહ્યું કે 2021-22માં 3.41 કરોડ લોકોએ રાજ્યમાં મફત અનાજ વિતરણનો લાભ લીધો હતો અને 2025-26માં 3.82 કરોડ લોકો લાભ લેવા નોંધાયા હતા. જેમાં 75.29 લાખ કુટુંબો છે. આમ પાંચ વર્ષમાં 41 લાખ લોકો વધ્યા છે.
5 વર્ષમાં મફત અનાજના વિતરણમાં 5.23 લાખ ટનનો વધારો
2020 કરતા 2025માં 523816 ટન વધુ મફત અનાજ વિતરણ થયું છે. રાજ્યની 100 ટકા વસ્તીમાં 55 ટકા વસ્તી મફત અનાજ મેળવે છે. 45 ટકા લાભ નથી લેતા. જ્યારે સરકારે બચાવમાં કહ્યું કે કોંગ્રેસના આંકડા ખોટા છે. દેશમાં કુલ 80 કરોડ લાભાર્થી છે ત્યારે રાજ્યમાં 2024માં 3.34 કરોડ લાભાર્થી નોંધાયા છે. 3.83 કરોડ સુધી લાભાર્થી પહોંચી શકે છે.
રાશનના વિતરણમાં પારદર્શિતા માટે સરકારનો મોટો નિર્ણય
રાજ્યમાં તુવેરદાળ, ચણા અને ખાંડના વિતરણમાં પારદર્શિતા લાવવા તથા ગ્રાહકોની ફરિયાદો ઘટાડવા માટે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે આ વસ્તુઓનું વિતરણ છૂટકને બદલે 1 કિલોગ્રામના પ્રમાણિત પેકિંગમાં કરવામાં આવશે. આ અંગે વિધાનસભામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા 17,000થી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે દુકાનદારોને પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાને બદલે 185 રૂપિયા કમિશન ચૂકવાશે, જેના માટે સરકાર દ્વારા 67.20 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: 183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ
દરેક જિલ્લામાં ગ્રાહકો માટે સ્થાપવામાં આવશે સમાધાન કેન્દ્રો
રાજ્યના દરેક જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગોમાં ‘પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો’ સ્થાપવામાં આવશે. જેથી ફરિયાદોનો કોર્ટની લાંબી પ્રક્રિયા વિના ઝડપી ઉકેલ આવશે. આ ઉપરાંત વિશ્વમાં પ્રથમવાર કંપનીઓને ગ્રાહકો પ્રત્યેના વર્તન અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવા માટે કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ તૈયાર કરનારું ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય બનશે.’
















