Transfers and Promotions: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા 27 માર્ચ, 2026ના રોજ રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સરકારી યોજનાઓના પાયાના સ્તર સુધી અમલીકરણ માટે એકસાથે પાંચ અલગ-અલગ ઓર્ડર બહાર પાડીને ઉચ્ચ IAS અધિકારીઓથી લઈને નાયબ મામલતદાર કક્ષા સુધીના અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરાયા છે. આ ફેરફારોમાં નવા પ્રભારી સચિવોની નિમણૂક, GAS કેડરની બદલીઓ અને મામલતદારોની બઢતી-બદલીનો સમાવેશ થાય છે.
આ મોટા વહીવટી ફેરફારમાં સૌથી મહત્ત્વનો નિર્ણય 34 જિલ્લાઓ માટે પ્રભારી સચિવોની નિમણૂકનો છે, જેમાં વરિષ્ઠ IAS અધિકારીઓને સીધી દેખરેખની જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ, મહેસૂલ વિભાગમાં ૨૦થી વધુ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપીને નવી નિમણૂક અપાઈ છે, જ્યારે 23 જેટલા GAS કેડરના અધિકારીઓની પણ આંતરિક બદલી કરવામાં આવી છે. આ તમામ આદેશો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.
1) 13 નાયબ મામલતદારોનું રિવર્ઝન: બઢતીનો અસ્વીકાર
એક ચોંકાવનારા નિર્ણયમાં, રાજ્યના 13 નાયબ મામલતદારોએ પોતાને મળેલી મામલતદાર તરીકેની બઢતીનો સ્વેચ્છાએ અસ્વીકાર કર્યો છે. વ્યક્તિગત કારણોસર જવાબદારી લેવાનો ઇનકાર કરતા, સરકારે આ કર્મચારીઓને તેમના મૂળ સંવર્ગમાં પરત (Reversion) કર્યા છે. આ અધિકારીઓ હવે ભવિષ્યમાં આ બઢતીને લગતા કોઈ પણ આર્થિક લાભ કે વરિષ્ઠતાનો દાવો કરી શકશે નહીં.


2) નાયબ મામલતદારોને વર્ગ-2 મામલતદાર તરીકે બઢતી
મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના પાયાના વહીવટી તંત્રને મજબૂત કરવા માટે નાયબ મામલતદાર (વર્ગ-3) સંવર્ગના અનેક કર્મચારીઓને હંગામી ધોરણે મામલતદાર (વર્ગ-2) તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતી મેળવનાર અધિકારીઓને મહેસાણા, રાજકોટ, સુરત અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં ખાલી પડેલી મામલતદારની જગ્યાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો હાઈકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે.




3) વહીવટી નિમણૂકો અને બદલીના અન્ય આદેશો
આ ઉપરાંત, મામલતદાર સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી શાખા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જમીન સંપાદન જેવા મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સાથે જ, 2023ની બેચના IAS અધિકારી એમ. એપલાપલ્લી સુસ્મિતાની પણ હાલોલથી મહુવા (ભાવનગર) ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

4) GAS કેડરના 23 અધિકારીઓની જાહેર હિતમાં બદલી
ગુજરાત વહીવટી સેવા (GAS) જુનિયર સ્કેલના 23 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ (Prant Officers), ડેપ્યુટી કલેક્ટરો અને મહાનગરપાલિકાઓના આસિસ્ટન્ટ કમિશનરોની બદલી કરવામાં આવી છે. વહીવટી સુગમતા માટે હિંમતનગર, મોરબી, ખેડા અને નવસારી જેવા મહત્વના વહીવટી મથકો પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.


5) રાજ્યના 34 જિલ્લાઓ માટે નવા ‘પ્રભારી સચિવો’ની નિમણૂક
સરકારે રાજ્યના તમામ 34 જિલ્લાઓના વિકાસકાર્યો અને સરકારી યોજનાઓના મોનિટરિંગ માટે ઉચ્ચ IAS અધિકારીઓને પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ જિલ્લા કલેક્ટર સાથે સંકલન સાધીને શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સ પર સીધી દેખરેખ રાખશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.





















