![]()
– નડિયાદ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત
– અકસ્માત સર્જીને ચાલક પોતાનું વાહન લઈ નાસી છૂટયો : પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
નડિયાદ : નડિયાદ તાલુકાના ગુતાલ ગામની સીમમાં નેશનલ હાઈવે ૪૮ પર શુક્રવારની મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જતા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક રાહદારીને જોરદાર ટક્કર મારતા યુવકનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટયો હતો, જે અંગે વડતાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના ગુતાલ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ૪૮ પર ગુરૂવારની મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે એક રાહદારીનું મોત નીપજ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે, નરસંડાના આઝાદ ચોકમાં રહેતા અને સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે નોકરી કરતા સુનિલભાઈ ભુપેન્દ્રભાઈ મકવાણાને તેમના સાથી કર્મચારીએ ફોન કરીને જાણ કરી હતી કે, ગુતાલ ચોકડી પાસે એક એક્સીડન્ટ થયો છે. સુનિલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા ત્યાં અંદાજે ૩૫ વર્ષની વયના એક અજાણ્યા યુવકની મૃતદેહ પડી હતી. મૃતક યુવકે આખી બાયનું સફેદ, લાલ અને કાળા પટ્ટાવાળું ટી-શર્ટ તથા કાળા કલરનો ટ્રેક પહેરેલો હતો. વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે અજાણ્યા રાહદારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને શરીરે પણ વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતા તેને લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્ર્જનાર વાહન ચાલક અંધારાનો લાભ લઈને પોતાનું વાહન હંકારી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ આ અકસ્માત જોઈને થંભી ગયા હતા. બનાવની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે સુનિલભાઈ મકવાણાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.















