![]()
કેન્દ્ર રાજ્યોને ગૌણ ના ગણે : જસ્ટિસ નાગરત્નાની સલાહ
ચૂંટણીઓની નિષ્પક્ષતા જાળવી રાખવી ચૂંટણી પંચની જવાબદારી, તેના પર રાજકીય પ્રતિભાવોની અસર ના થવી જોઇએ : ન્યાયાધીશ
પટણા: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. વી. નાગરત્નાએ શનિવારે એક મોટું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જેવી સંસ્થાઓએ સ્વતંત્ર રીતે કામ કરવું જોઇએ અને રાજકીય પ્રતિક્રિયાઓની આ સંસ્થા પર કોઇ અસર ના થવી જોઇએ. ચૂંટણી માત્ર સમય સમય પર થનારી ઘટના નથી, આ એક એવુ તંત્ર છે જેના માધ્યમથી રાજકીય સત્તાનું ગઠન થાય છે. સાથે જ તેમણે કહ્યું હતું કે કેન્દ્રએ રાજ્યોને ગૌણ તરીકે નહીં પણ સંકલન તરીકે લેવા જોઇએ.
શનિવારે બિહારના પટણાના ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટીમાં અધિકારો અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે ચૂંટણી પંચ, કેગ અને નાણા પંચની ડિઝાઇન એક સરખી છે, આ સંસ્થાઓએ બહારના કોઇ પણ પ્રકારના પ્રભાવ કે વગથી મૂક્ત, વિશેષીકૃત છે. અને આવી સંસ્થાઓને એવા ક્ષેત્રોની દેખરેખનું કામ સોંપવામાં આવ્યું છે કે જ્યાં નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે સામાન્ય રાજનીતિક પ્રતિિક્રિયાઓ કદાચ પુરતી ના હોય. આ સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે અને રાજકીય પ્રતિક્રિયાઓથી પ્રભાવીત ના થાય તે અત્યંત જરૂરી છે.
વિપક્ષ જ્યારે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને એસઆઇઆર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે એવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એક અત્યંત મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થા તરીકે માન્યતા આપી છે. જેને ચૂંટણીઓની નિષ્પક્ષતા જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. જો ચૂંટણી કરાવનારા લોકો એવા લોકો પર નિર્ભર હોય કે જેઓ ચૂંટણી લડી રહ્યા છે તો પછી આ પ્રક્રિયાની નિષ્પક્ષતા સુનિશ્ચિત ના કરી શકાય. બંધારણનો પાયો ત્યારે નબળો ત્યારે પડી જાય છે જ્યારે તેની સંરચના નબળી પડી જાય. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સત્તા અંગે વાત કરતા ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો બન્ને વચ્ચે કોઓર્ડિનેશન હોવુ જરૂરી છે, વિવિધ યોજનાઓ થકી નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય બન્નેની યોજનાઓનો લાભ મળવો જોઇએ.















