– પીકઅપ વાન, કાર અને ટ્રક અથડાતા 3 ને ઇજા
– પીકઅપ વાનની ટક્કરથી કાર 70 ફૂટ દૂર ફંગોળાઈ હોટલના ગ્રાઉન્ડમાં રહેલા ટ્રક સાથે અથડાઈ
ચોટીલા : અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે શુક્રવારે સવારે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદની એક યુવતી અને એક સગીરના ઘટનાસ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને હાલ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.
ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર વોટરપાર્ક પાસે હાઈવે પર ટ્રક ઉભો હતો, ત્યારે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી અમદાવાદના સેજપુર પરત ફરી રહેલા ઠાકોર પરિવારની કારને ખુલ્લા ડિવાઈડર પરથી ટર્ન લેતી પીકઅપ વાને જોરદાર ટક્કર મારી હતી. આ અથડામણ એટલી તીવ્ર હતી કે કાર રોડથી ૭૦ ફૂટ દૂર ફેંકાઈ ટ્રક સાથે અથડાઈ હતી.
આ ત્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે, ત્રણેય વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે રોડ પર ચારેય તરફ ગાડીનો કાટમાળ ફેલાયો હતો, સાથે જ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિના મોત નિપજતા અને બે લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા રોડ રક્તરંજીત થયો હતો. જેને જોવા રોડ પર સ્થાનિકો લોકોના તથા વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
ખુલ્લા ડિવાઈડરે બે જિંદગી હોમી?
પ્રાથમિક અનુમાન મુજબ, જે સ્થળે અકસ્માત સર્જાયો છે ત્યાં સામે ખુલ્લું ડિવાઈડર છે. જે આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. પીકઅપ વાન જ્યારે આ ખુલ્લા ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરી એકાએક ટર્ન લીધો જેના કારણે કાર ટકરાઇને ફંગોળાઈ અને સામે હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ટ્રક સાથે જોરદાર ધમાકા સાથે અથડાઈ પડેલ હતી.
મૃતકોની વિગતો
૧. સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૨૮)
૨. આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ.૧૬ )
ઈજાગ્રસ્તોની વિગતો
૧. કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ.૨૯)
૨. હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ.૩૦)
૩. દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ.૩) (તમામ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરાયા)















