![]()
– બે માસથી રાંધણ ખર્ચની ગ્રાન્ટ અટકી પડી
– શાળા સંચાલકો તીથિભોજન અને દાતાના આશરે, તાકીદે પ્રશ્ન હલ નહીં થાય તો ૧મે થી મધ્યાન ભોજનના રસોડા બંધ કરવાની ચીમકી
ધંધુકા : રાજ્યમાં બાળકોના પોષણ માટે ચાલતી મહત્વકાંક્ષી યોજનાઓ હવે સરકારી ઉદાસીનતાના કારણે પડી ભાંગવાની અણી પર છે. છેલ્લા બે મહિનાથી રાંધણ ખર્ચની ગ્રાન્ટ ન મળતા અને ત્રણ મહિનાથી કઠોળ દાળનો પુરવઠો ખોરવાતા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના (મધ્યાહન ભોજન) અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ગંભીર સંકટમાં મુકાઈ છે. આ મામલે કર્મચારી સંઘ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે જો તાત્કાલિક પ્રશનોનું નિરાકરણ નહીં આવે તો ૧ મે થી રાજ્યભરમાં ભોજન અને નાસ્તો બંધ કરી દેવામાં આવશે.
પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાએ જણાવ્યું હતું કે અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી કઠોળની ખરીદી માટે ટેન્ડર જ બહાર પાડવામાં આવ્યા નથી. જેના કારણે રાજ્યની અંદાજે ૩૨ વાનગીઓ ખાઈને સંતોષ માનવો પડે છે જેનાથી તેમના આહારમાં પ્રોટીનનું પ્રમાણ ઘટયું છે. રાજ્યની ૨૯ હજાર શાળાઓમાં ડીબીટી દ્વારા એડવાન્સ ગ્રાન્ટ આપવાની જોગવાઈ હોવા છતાં છેલ્લા બે મહિનાથી રસોઈ ખર્ચની કોઈ રકમ ચુકવવામાં આવી નથી. મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત પૌવા અને ઉપમા જેવી વાનગીઓ પીરસવાનું નક્કી કરાયું છે. પરંતુ નાણાંના અભાવે આ યોજના માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવી સ્થિતિ છે. હાલમાં અનેક શાળા સંચાલકો તિથિ ભોજન અને સ્થાનિક દાતાઓનાં સહારે ગમે તેમ કરીને બાળકોને જમાડી રહ્યાં છે. જો માર્ચ અને એપ્રિલ મહિનાની બાકી ગ્રાન્ટ અને કઠોળનો જથ્થો તાત્કાલિક ધોરણે પુરો પાડવામાં નહીં આવે, તો ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ૧ મે થી રાજ્યની તમામ શાળાઓમાં મધ્યાહન ભોજનના રોસડા બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારાઈ છે.















