![]()
વડોદરા : નિઝામપુરા વિસ્તારમાં આવેલી સ્ટેશનરીની દુકાનમાં છ વર્ષની
બાળકીને લાલચ આપીને બોલાવ્યા બાદ તેની સાથે અડપલા કરવાના બનાવમાં સંડોવાયેલા ૮૦
વર્ષના વૃદ્ધને અદાલતે કસુરદાર ઠેરવી ત્રણ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.ન્યાયાધીશે
સગીરાને વળતર પેટે રૃા.૫૦ હજાર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, નિઝામપુરા વિસ્તારમાં તા. ૧૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ
એક શરમજનક ઘટના બની હતી. સ્ટેશનરીની દુકાન
ચલાવતા ૮૦ વર્ષીય આરોપી અનિલભાઈ હરીવન ગૌસ્વામીએ
૬ વર્ષની સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની દુકાનમાં બોલાવી હતી.
જ્યાં આરોપીએ બાળકી પર ખરાબ નજર નાખી, તેની ઈચ્છા વિરુદ્ધ
કામુક હાથચાળા કરી હાથ પર પપીઓ કરીને જાતીય સતામણી કરી હતી.
આ અંગે બાળકીની માતાએ ૨૦ ઓગસ્ટના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી હતી.આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ એન.યુ.મકવાણાએ
રજૂઆત કરી હતી કે, બાળકીની જુબાની અત્યંત ભરોસાપાત્ર છે અને જન્મના
પ્રમાણપત્ર મુજબ તેણી સગીર વયની સાબિત થાય છે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો તેમજ
પુરાવાને ધ્યાને લઇ આરોપી અનીલભાઇ ગોસ્વામીને ત્રણ વર્ષની સજાનો આદેશ કર્યો
હતો.
ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે સગીર બાળકીની જાતીય સતામણી એ ગંભીર ગુનો છે અને આવા
કિસ્સામાં આરોપીની ઉંમર કરતા ગુનાની ગંભીરતા વધુ મહત્વની છે.બાળકની જુબાનીને અન્ય
કોઈ પુરાવાથી સમર્થન મળે ત્યારે તેને નકારી શકાય નહીં. ખાસ કરીને જ્યારે આરોપી
સાથે અગાઉ કોઈ વેરઝેર ન હોય, ત્યારે નાની બાળકી ખોટી જુબાની આપે તેવી શક્યતા
નહિવત છે.















