![]()
Jamnagar Bogus Marriage Certificate : જામજોધપુરના સમાણામાં બોગસ મેરેજ સર્ટિફિકેટ બની ગયાની તપાસ હાલ ચાલી રહી છે ત્યાં જ વધુ એક બોગસ પેઢીનામુ બની ગયાનું સામે આવ્યું છે. આ મામલે તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને પોતાના સહી સિક્કાનો દુરુપયોગ થયો હોવાનું જાહેર કર્યું છે. જેથી આ મામલે ભારે ચકચાર જાગી છે.
સમાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સિક્કા સાથેનું એક મેરેજ સર્ટિફિકેટ તાજેતરમાં ઇસ્યુ થયું હતું, જે સર્ટીફીકેટ બોગસ હોવાનું જણાવીને યુવતીના વડોદરા માં રહેતા પિતાએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું.
સમાણા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ આ સટિફિકેટ ગ્રામ પંચાયત કચેરીમાંથી ઈસ્યુ થયું નથી તેમ જણાવ્યું છે. ત્યારે આ સર્ટિફિકેટના પ્રકરણમાં શેઠ વડાળા પોલીસ તપાસ ચલાવી રહી છે, દરમિયાન વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
પોરબંદરના જુબેદાબેન નૂર મહંમદ કે જેઓ હુસેનભાઇ જુમાભાઈ ચૌહાણના સીધી લીટીના વારસદારો છે, અને પોતે સમાણા ગામના છે, જે પ્રકારનું પેઢીનામું તૈયાર કરાયું હતું. જેમાં સમાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સિક્કા કરેલા હોવાનું જણાવાયું હતું. ઉપરોક્ત પેઢીનામું બોગસ થયું હોવાની જાણકારી મળી રહી છે.
જામજોધપુરમાં રહેતા અને સમાણા ગામના તલાટી કમ મંત્રી કિંજલબેન મહેન્દ્રભાઈ પરમારે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને પોતાના સરકારી સિક્કાનો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી સહી કરી દુરુપયોગ થયો છે, તેમ જણાવ્યું હતું. ગત 3.1.2026 ના રોજ લગ્ન રજીસ્ટર બાબતેની પ્રમાણપત્રની નકલ કે જે મેરેજ સર્ટિફિકેટ સમાણાં ગ્રામ પંચાયતમાં નોંધાયું ન હોવાનું જણાવ્યું છે, અને પોતાની સહિત તથા સિક્કાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેવી લેખિત રજૂઆત કરી છે. હજુ આ પ્રકરણની તપાસ ચાલે છે, ત્યાં જ આ બીજું બોગસ પેઢીનામું સામે આવતાં અનેક સવાલો ઊઠયા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે, તેમ ચર્ચાઇ રહ્યું છે.
















