![]()
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ના પતિદેવ સામે જામજોધપુરના એક નાગરિકે પોતાને પતાવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ શેઠવડાળા પોલીસ મથકમાં નોંધાવી છે. આરોપીના ખનીજ ચોરીના અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા, જેને લઈને ખાણખનીજ વિભાગ દ્વારા કેસ કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો, અને તે દંડની રકમ ફરિયાદી યુવાન પાસેથી વસૂલવા માટે ધાક ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેમાં પોલીસ વધુ તપાસ ચલાવે છે.
ઇએમજોધપુર તાલુકાના સમાણા ગામના રહેવાસી અને જામજોધપુર સમાચાર સાપ્તાહિક સાથે જોડાયેલા જીતેન્દ્રભાઈ મોહનભાઈ પરમારે તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે સોશિયલ મીડિયા પર માહિતી પ્રસારિત કરી હતી.
આ દરમ્યાન જામજોધપુર તાલુકાના મહિલા પ્રમુખ જશુબેનના પતિ અતુલભાઈ ચંદુભાઈ રાઠોડની ગેરકાયદેસર ખાણ પકડાતા તેણે ખાર રાખી ફરીયાદીને મોબાઇલ ફોન દ્વારા ગાળો આપી ધમકી આપી હતી. આરોપીએ કહ્યું હતું કે ખાણ ઉપર પડેલા દંડની રકમ ફરીયાદીએ જ ભરવી પડશે, નહીં તો તેના હાથ-પગ ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી આપી હતી.
આ બનાવ તા. 15.03.2026થી આજદિન સુધી અલગ-અલગ સમયે બન્યો હોવાનું નોંધાયું છે.
આ મામલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 352 અને 351(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.















