![]()
Jamnagar Crime : જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા કળિયુગી શ્રવણ એવા પુત્રએ પોતાની પત્ની સાથે મળીને પિતા પર હુમલો કરી દઈ હાથ ભાંગી નાખી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હોવાથી ભારે ચકચાર જાગી છે.
જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ સંભાળતા લાખાભાઈ રવાભાઈ સાંઘાણી નામના 83 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓએ ગઈકાલે જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી હાથ ભાંગી નાખવા અંગે પોતાના જ પુત્ર વૃજલાલ લાખાભાઈ સાંઘાણી તેમજ પુત્રવધુ ગીતાબેન ભરતલાલ સંઘાણી સામે ફરિયાદ નોંધાવી છે. પોતાના હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને તેના હાથનું ઓપરેશન કરીને પ્લાસ્ટર લેવાયું છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતે જે મકાનમાં રહે છે, તે મકાનનો કબજો પુત્રને જોઇતો હોવાથી મકાન પડાવી લેવા માટે આરોપી પુત્ર અને પુત્રવધુ એ બુઝુર્ગને મારકૂટ કરી હતી, અને મકાનનો કબજો નહીં સોંપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે દંપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

















