![]()
Jamnagar : જામનગર શહેરના બેડી ખારી વિસ્તારમાં વીજ દુર્ઘટનાથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં વીજ થાંભલા પર ચડીને વિજ લાઈનના રિપેરિંગ કામ દરમિયાન એક વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગતાં તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસમાંથી મળેલી માહિતી મુજબ તા.31 માર્ચ 2026ના રોજ બપોરે અંદાજે 11:30 થી 12:00 વાગ્યાની વચ્ચે બેડી ખારી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં બેડી વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક કામ કરતા હારુન સુલેમાનભાઈ કે તેઓના પાડોશીના ઘરમાં લાઈટ ગઈ હોવાથી નજીકના વિસ્તારમાં આવેલા વિજ થાંભલા પર ચડીને સમારકામ કરી રહ્યા હતા. જે દરમિયાન એકાએક ઇલેવન કે.વી.ની હેવી વિજ લાઈનમાંથી વિજ આંચકો લાંગતાં નીચે પટકાઈ પડ્યા પછી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અબ્બાસભાઈ સુલેમાનભાઈએ પોલીસને જાણ કરતાં બેડી મરિન પોલીસ સ્ટેશનની ટીમ બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને હારૂનના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પી.જી.વી.સી.એલ.ની ટીમ પણ આ બાબતે તપાસ કરી રહી છે.












