![]()
Junagadh Shivratri Fair: જૂનાગઢમાં મહા શિવરાત્રીના મેળા વચ્ચે જૈન અને સનાતન ધર્મ વચ્ચે ચાલતો વિવાદ વધુ ગરમાયો છે. આ દરમિયાન દત્તાત્રેય સંસ્થાનના મહંત મહેશ ગિરીએ રોષ ઠાલવ્યો હતો કે, ‘ઓઘડ શિખર ટૂંક પર બનેલી ઘટનામાં તાત્કાલિક જૈન મુનિ સુનિલ સાગરજી સામે ગુનો દાખલ કરવામાં આવે અને તેને ભવનાથ ક્ષેત્રમાંથી તડીપાર કરવામાં આવે. શિવરાત્રિ મેળા સમયે જ મેળાનો માહોલ બગાડવાની પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે, જો સાધુઓ વીફરી જશે તો તંત્રથી કાબૂ નહીં થાય.’
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા ગિરનાર પર્વત પર ઓઘડ શિખર ટૂંક પર સનાતન ધર્મ સામેની પ્રવૃત્તિ કરવામાં આવી હોવા અંગે પોલીસે રહી રહીને અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર મામલે મહેશ ગિરીએ આકરા તેવર બતાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભવનાથ તળેટીમાં કોઈ સનાતની સાધુ દ્વારા એક ઈંટ મુકવામાં આવે તો પણ તેના પર ધોકા વરસાવવામાં આવે છે, જ્યારે જૈન સાધુ દ્વારા ગિરનાર પર્વત પર ઓઘડ શિખર ટૂંક ખાતે જઈ ચરણપાદુકા મુકી પેશકદમી કરવામાં આવી તેનો વીડિયો વાઈરલ થયો છતાં પણ પોલીસ તેની સામે કાર્યવાહી કરતી નથી. શું તેઓ જૈન સાધુ છે એટલે તેમને વ્યવસ્થામાંથી પીઠબળ મળે છે? કોઈ મંત્રી કે સંત્રીના આશીર્વાદ છે?’
આ પણ વાંચો: અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ
જૈન મુનિ સામે કાર્યવાહીની માંગ કરતા મહેશ ગિરીએ જણાવ્યું હતું કે, ‘મેળામાં આવેલા તમામ સાધુઓ આ અંગે રજુઆત કરી કહે છે કે, તંત્ર તાત્કાલિક તેની સામે એફઆઈઆર દાખલ કરી તડીપાર કરે. શિવરાત્રિ મેળો એ હિન્દુ સનાતન ધર્મનો છે. જૈન સાધુએ તાત્કાલિક સમજી જવું જોઈએ. જો મેળા સમયે સાધુઓ વીફરી જશે તો ગંભીર પરિસ્થિતિ ઊભી થશે. તમામ માટે કાયદો એક જ છે તેવી અનુભૂતિ કરાવવા માટે તાત્કાલિક જૈન મુનિ સામે કાર્યવાહીની માંગ કરી છે.’
સાધુઓને ધૂણાં ધખાવવા માટે લાકડાની ઘટ પડી રહી છે
તંત્રએ જે આયોજન કર્યું છે તેમાં સાધુઓના ધૂણામાં લાકડાની ત્રુટી છે તેને તાત્કાલિક પૂરી કરવી જોઈએ. સાધુઓ માટે ધૂણો એ જ શિવ છે. ધૂણા માટે લાડકા જરૂરી છે અને મોટાભાગના ધૂણા પર લાકડાંની ઘટ છે તેની તાત્કાલિક તંત્ર વ્યવસ્થા કરે.
















