![]()
વડોદરા,તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત થયું છે. જ્યારે ઇજાગ્રસ્ત પૌત્રી અને બાઇકચાલકને પણ ઇજા પહોંચી છે.
તરસાલી વિજયનગરમાં રહેતા અરવિંદભાઇ દુદાભાઇ રોહિત ગઇકાલે રાત્રે આઠ વાગ્યે નિત્યક્રમ પ્રમાણે તેમની પૌત્રીને લઇને રોડ ક્રોસ કરીને કપિલેશ્વર સોસાયટીમાં ટયુશનમાં મૂકવા ચાલતા જતા હતા. તે દરમિયાન નિલકંઠેશ્વર મહાદેવવાળા રોડ પરથી તરસાલી તરફ જતા રોડ પર એક બાઇકચાલક પૂરઝડપે આવ્યો હતો. બાઇકચાલકે દાદા અને પૌત્રીને ટક્કર મારતા તેઓ રોડ પર પડયા હતા. પૌત્રીને કપાળ તથા કમરના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે દાદા અરવિંદભાઇને પણ ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતનો અવાજ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત દાદા અને પૌત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, દાદાનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. બાઇકચાલકને પણ ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.















