![]()
વડોદરાઃ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની કિટ કમિશન લઇને ઉપરના એજન્ટને મોકલવાના પ્રકરણની તપાસમાં મુખ્ય એજન્ટ મનાતા ભરૃચના અનિસનો હજી પત્તો લાગતો નથી.
પંદિર દિવસ પહેલાં જે પી રોડ પોલીસે તાંદલજાના એજાજ અરબને ઝડપી પાડી તેની પાસે ૨૩ બેન્ક ખાતાની પાસબૂક,ચેકબૂક અને ૨૬ ડેબિટ કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા.પૂછપરછ દરમિયાન એજાજ વડોદરાની આસપાસના વિસ્તારોમાં ઓછું ભણેલા લોકોને કંપનીના સંચાલક તરીકે ઓળખ આપી કમિશનની ઓફર કરીને બેન્ક એકાઉન્ટની કિટ લેતો હોવાની માહિતી બહાર આવી હતી.નાહિદ,અજહર અને ફરહાન પાસેથી પણ કિટ લીધી હોવાની માહિતી ખૂલી હતી.
ઉપરોક્ત પાસબૂક ભરૃચના અનિસ ઉસ્માન કાની ને આપવા માટે રાખી હોવાની માહિતી મળતાં સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મ્યુલ બેન્ક એકાઉન્ટના ષડયંત્રની આશંકા મજબૂત બની હતી.ભરૃચના મુખ્ય એજન્ટ મનાતો અનિસ બેન્ક ખાતા દિઠ રૃ.૨૦ હજાર આપતો હોવાની અને તેમાંથી એજાજને માત્ર ૫હજાર કમિશન મળતું હોવાની માહિતી બહાર આવી હતી.
જેથી પીઆઇ એનજે સોહાગિયા અને ટીમ માટે અનિસની લિન્ક મહત્વની બની હતી.અનિસ પેસેન્જર વાહન મારફતે અમદાવાદમાં કિટ મોકલી આપતો હોવાની માહિતી ખૂલી હતી.જેથી તે પકડાય પછી જ તે કોને કિટ મોકલતો હતો અને રૃપિયા ક્યાં ટ્રાન્સફર થતા હતા તેની વધુ વિગતો બહાર આવશે.જો કે પોલીસ અનિસનું પુરતું સરનામું મેળવી શકી નહિ હોવાથી તપાસ ઠેરનીઠેર રહી છે.















