![]()
તાંદળજા વિસ્તારમાં વણકરવાસ, રાયની ફળિયું, આસોપાલવ ફળિયું, લીમડી ફળિયું, સોદાગર પાર્ક, કરિશ્મા પાર્ક, તાંદળજા ગામ તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દુષિત અને દુર્ગંધવાળું આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.
સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં મ્યુનિ. કોર્પોરેશન તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. આજે તાંદલજા એકતા મંચના બેનર હેઠળ રહીશોએ ભેગા થઈ દુષિત પાણીની બોટલો દર્શાવી વિરોધ પ્રદર્શન કરી તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રહીશોનું કહેવું છે કે, દૂષિત પાણીના કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં પેટના રોગ, તાવ અને ચામડી સંબંધિત બીમારીઓ ફેલાવાનો ખતરો વધ્યો છે. જેથી તાત્કાલિક પગલાં લેવાની માગ છે.
વહેલીતકે સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનશે તેવી સામાજિક કાર્યકરે ચીમકી આપી છે. વધુમાં વિસ્તારમાં વર્ષો જૂની પાણી -ડ્રેનેજ લાઈન બદલી નવી નાખી કાયમી નિરાકરણ લાવવા માગ છે.















