![]()
2014થી 2026 સુધીનાં સત્તાવાર આંકડા જાહેર કરાયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાંથી નકસલવાદને સમાપ્ત કરવા 31 માર્ચની ડેડલાઇન નક્કી કરી છે
નવી દિલ્હી: સુરક્ષા દબાણ અને પુનર્વસન પ્રયત્નોને કારણે દેશમાં સૌથી લાંબા સમયથી ચાલી રહેલા વિદ્રોહમાંથી એક નકસલવાદને મોટો આંચકો લાગ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષોમાં ૧૦,૦૦૦થી વધુ નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ છે અને નકસલવાદનાં ટોચનાં નેતૃત્ત્વને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાંથી નકસલવાદને સમાપ્ત કરવા માટે ૩૧ માર્ચની ડેડલાઇન નક્કી કરી છે. ૨૦૨૫માં ૨૩૦૦થી વધુ નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતું.
૨૦૨૬નાં પ્રથમ ત્રણ મહિનામાં ૬૩૦થી વધારે નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતું તેમ ૨૦૧૪થી ૨૦૨૬ની શરૂઆત સુધી નકસલવાદીઓનાં આત્મસમર્પણનાં સત્તાવાર ડેટામાં જણાવવામાં આવ્યું છે.
એક અધિકારીનાં જણાવ્યા અનુસાર સરકારે નકસલવાદ વિરુદ્ધ એકિકૃત, બહુ આયામી અને નિર્ણાયક રણનીતિ અપનાવી છે. જેનું એક ઉદાહરણ રેડ કોરિડોર ક્ષેત્રમાં સડકોનું નિર્માણ છે. એક સમયે આ ક્ષેત્ર પશુપતિથી તિરુપતિ સુધી ફેલાયેલું હતું. જેમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશનાં કેટલાક ભાગો સામેલ હતાં જ્યાં કોન્ટ્રાકટરો કામ કરવાનો ઇનકાર કરતાં હતાં.
કેન્દ્ર સરકારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ને પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી (પીએલજીએ)ના મુખ્ય ક્ષેત્રોમાં સડકો બનાવવાનું કામ સોંપ્યું હતું. જેમાં વિદ્રોહનાં આ વિસ્તારોમાં પાંચ મુખ્ય સડકો અને છ મહત્ત્વપૂર્ણ પુલોનું નિર્માણ સામેલ હતું.















