![]()
મૃતકના પરિવારજનોનો ગંભીર આક્ષેપ
જીવલેણ હુમલા સમયે ભાજપ અગ્રણી અને તેનો પુત્ર પણ હાજર હોવાના પુરાવા સાથે કાનૂની લડતની ચીમકી
જેતપુર: ધોરાજીમાં ત્રણ દિવસ પહેલા યુવાનની ઘાતકી હત્યાના મામલે હવે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. મૃતકના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, ઘટનાસ્થળે ચાર શખ્સો હાજર હોવા છતાં રાજકીય દબાણ હેઠળ પોલીસ માત્ર બે જ આરોપીને નામજોગ નોંધીને ભાજપના અગ્રણી અને તેમના પુત્રને છાવરી રહી છે.
ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં પૈસાની લેતી-દેતી બાબતે વિવેક બારૈયા નામના યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલા હિમાલય બારૈયા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જે મામલે ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા સામે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જ મૃતક યુવાનના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, હુમલા સમયે ભાજપ અગ્રણી અને તેનો પુત્ર પણ હાજર હતા, તેમ છતાં એફઆઈઆરમાં તેમના નામ બાકાત રાખવામાં આવ્યા છે. પોલીસે અગાઉ ચારેય આરોપીઓને પકડી લેવાનો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ મૃતદેહના અગ્નિસંસ્કાર બાદ રંગ બદલ્યો અને ફરિયાદમાં માત્ર બે જ નામ નોંધ્યા છે.
જો કે વિવાદિત મામલે ક્યા કારણથી ભાજપ અગ્રણી અને પુત્રને પોલીસ સ્ટેશન સુધી લાવ્યા બાદ ક્લિનચીટ આપી દેવામાં આવી ? એ બાબતે આજે પોલીસે જવાબ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ હવે ધોરાજીના પૂર્વ અને ગીર સોમનાથના વર્તમાન કોંગી ધારાસભ્ય મેદાને આવ્યા છે અને ‘જો ભાજપ અગ્રણી અને પુત્રનું નામ ફરિયાદમાં ઉમેરવામાં નહીં આવે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે..’ એવી ચીમકી ઉચ્ચારી છે.















