– ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ બદનામ કરવાનું કાવતરું
– આ કાવતરા પાછળ કોણ તેની ઉંડાણપૂર્વક તપાસની જરૂર, જવાબદાર લોકોને છટકવા નહીં દઇએ : સુપ્રીમ
નવી દિલ્હી : ધોરણ આઠના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરીને સરકાર અને એનસીઇઆરટી ભરાઇ પડયા છે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે એટલુ જ નહીં જે છપાયું તે કોઇ ભુલ નહીં પણ એક ઇરાદાપૂર્વકનું કાવતરું છે, ન્યાયતંત્ર પર ગોળીબાર કરાયો છે, તેને ઘાયલ કરવામાં આવ્યું, લોહી વહી રહ્યું છે. તો હવે જે પણ લોકો આ પાછળ છે તેમને સજા થશે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને, કેન્દ્ર સરકારને અને એનસીઇઆરટીને આ પુસ્તકને તમામ સ્થળેથી પરત ખેંચી લેવા આદેશ કર્યો છે.
સ્કૂલો, બૂકસ્ટોલ સહિતના તમામ સ્થળોએથી આ પુસ્તક પરત ખેંચી લેવાનો સુપ્રીમનો દેશવ્યાપી આદેશ
એનસીઇઆરટીના ધોરણ આઠના સામાજિક વિજ્ઞાાન પુસ્તકમાં ભ્રષ્ટાચાર અંગે વાત કરાઇ તેમાં ન્યાય તંત્રનુ ઉદાહરણ આપવામાં આવ્યું જ્યારે અન્ય કોઇ પણ સરકારી વિભાગનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી દ્વારા ઉઠાવાતા મુખ્ય ન્યાયાધીશે તેને ગંભીરતાથી લીધો છે. આ પહેલા મુખ્ય ન્યાયાધીશે માત્ર નારાજગી વ્યક્ત કરી હતી જોકે હવે જે પણ પુસ્તકમાં આ વાંધાજનક ઉલ્લેખ છે તેની તમામ કોપીઓને પરત ખેંચી લેવા, તેના વિતરણ અને પ્રકાશન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
તો યુવાઓના કોમળ મગજમાંથી ન્યાયિક પદની પવિત્રતા ખતમ થઇ જશે
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે આ એક ઇરાદાપૂર્વક લેવાયું પગલું છે, પુરા શિક્ષણ સમુદાયને જણાવાયું કે ભારતીય ન્યાયતંત્ર ભ્રષ્ટ છે અને મામલા પેન્ડિંગ પડયા છે, પછી આ વાત વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે અને તેમના થકી આ વાત વિદ્યાર્થીઓના માતા પિતા સુધી પહોંચશે, આ એક ગંભીર ઇરાદાપૂર્વકનું કાવતરુ છે. આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. અમારે એ તપાસ કરવી પડશે કે આની પાછળ જવાબદાર કોણ છે? આ કેસને અમે બંધ નહીં કરીએ, કોઇને પણ છટકીને નહીં જવા દઇએ, અમને લાગી રહ્યું છે કે ન્યાયતંત્રના સંસ્થાગત અધિકારોને નબળા પાડવા અને ન્યાયતંત્રની મર્યાદાને ઠેસ પહોંચાડવા માટેનું આ ઇરાદાપૂર્વકનું કાવતરું છે. જો આવો વાંધાજનક ઉલ્લેખ હટાવવામાં ના આવ્યો તો તે દેશના યુવાઓના કોમળ મગજમાંથી ન્યાયિક પદની પવિત્રતાને ખતમ કરી નાખશે.
તમામ રાજ્યોના શિક્ષણ સચિવ આદેશનું પાલન કરી રિપોર્ટ રજુ કરે
બાદમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને એનસીઇઆરટી એ ખાતરી આપશે કે આ વાંધાજનક પુસ્તકને તમામ જગ્યાએથી હટાવી લેવામાં આવશે. જેમાં હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બન્ને સામેલ હશે. સુપ્રીમ કોર્ટે માત્ર સ્કૂલોમાંથી જ નહીં તમામ દુકાનો, બૂક સ્ટોલ પરથી પણ આ પુસ્તક પરત ખેંચી લેવાનો આદેશ આપ્યો છે, સાથે જ આદેશના અમલ અંગે રિપોર્ટ રજુ કરવા પણ આદેશ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે તમામ રાજ્યોના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવોને આદેશ આપે છે કે તે અમારા આદેશનો અમલ કરાવે અને બે સપ્તાહની અંદર પાલન કરાયું હોવાનો રિપોર્ટ રજુ કરે.
માફી સ્વીકારવી કે નહીં તે આગળ વિચારીશું તેવી સુપ્રીમની ટકોર
સુનાવણી ચાલી રહી હતી ત્યારે સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ પુસ્તકમાં બે ચેપ્ટર તૈયાર કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે, જે બે લોકોએ ચેપ્ટર લખ્યું છે તેઓ ક્યારેય પણ યુજીસી કે અન્ય મંત્રાલયમાં સાથે કામ નહીં કરી શકે. જવાબમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે આ કાર્યવાહી તો બહુ જ સામાન્ય છે અને બચીને નીકળી જશે, ન્યાયતંત્ર પર ગોળી ચલાવી છે અને લોહી વહી રહ્યું છે, સજા તો થશે. આ પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે જે થયું તેનાથી બહુ દુ:ખી છું અને અફસોસ વ્યક્ત કરું છું. બાદમાં એનસીઇઆરટી તરફથી સોલિસિટર જનરલે કહ્યું હતું કે અમે આ મુદ્દે માફી માગીએ છીએ, જ્યારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આ મામલે માફી સ્વીકારવી કે નહીં તે અમે આગળ નક્કી કરીશું. હવે આ મામલે ૧૧મી માર્ચના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે.















