![]()
Patan News : પાટણના સમી તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે. જેમાં 23 વર્ષીય પરિણીતાએ એક વર્ષના માસૂમ દીકરા સાથે કૂવામાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે મૃતકના પિતાએ જમાઈ-સાસરી પક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત
મળતી માહિતી મુજબ, સમી તાલુકાના અમરાપુર (હંસનગર)માં પરિણીતાએ પુત્ર સાથે કૂવામાં પડીને આપઘાત કરતાં સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. પોલીસ ફરિયાદ અનુસાર, રાધનપુરના ધરવડીના રહેવાસી પ્રભુભાઈ દાનાભાઈ ઠાકોરે તેમની પુત્રી હંશાબેનના અમરાપુર ગામના દેવુભાઈ કાનજીભાઈ ઠાકોર સાથે વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. લગ્નજીવન થોડા સમય બાદ પરિણીતાનો પતિ શંકા રાખીને અવાર-નવાર હંશાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
આ પણ વાંચો: થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ
પોલીસ ફરિયાદ મુજબ, ગત ગુરુવાર(12 માર્ચ) પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પરિણીતા પુત્રને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. જેમાં સાસરી પક્ષે પરિણીતાના પિયરમાં જાણ કરી હતી. જ્યારે બીજા દિવસે ગામના કૂવામાં મહિલા-બાળકનો મૃતદેહ મળતાં પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે પરિણીતાના પિતાએ પોલીસમાં જમાઈ અને વેવાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.















