![]()
Bus Fire In Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક ગત મોડી રાત્રે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ વિકરાળ આગમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 6 મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
જીવ બચાવવા બારીના કાચ તોડી મુસાફરો બહાર કૂદ્યા
મળતી માહિતી અનુસાર, આ ખાનગી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનના જેસલમેરથી લગ્ન પ્રસંગ પતાવીને મુસાફરોને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી. 12મી માર્ચની મોડી રાત્રે જ્યારે બસ નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. રાત્રિનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બસમાં ધુમાડો અને જ્વાળાઓ ફેલાતા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજાના ભાગે આગ વધુ હોવાથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે બસની બારીઓના કાચ તોડીને બહાર કૂદકા માર્યા હતા. જોકે, આ નાસભાગ વચ્ચે એક કમનસીબ મુસાફર આગની લપેટમાં આવી ગયો હતો અને બસની અંદર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: પાલડીમાં દોડતી બસ બની ‘આગનો ગોળો’, ડ્રાઈવર-કંડક્ટરની સમયસૂચકતાથી અનેક જીવ બચ્યા
6 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને 108ની ટીમ મદદ માટે દોડી આવી હતી. દાઝી ગયેલા 6 મુસાફરોને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.















