![]()
ઊનાના નેસડા ગામે શંકાસ્પદ બનાવમાં અંતે ફરિયાદ
સાત દિવસ પહેલાં હાર્ટએટેકથી મોત થયાનું જણાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા, પોલીસે બંનેની અટકાયત કરી
ઊના: ઊના તાલુકાના નેસડા ગામે સાત દિવસ પહેલા એક મહિલાનું હાર્ટ એટેકથી મોત થયાનું જણાવીને તેના બે પિતરાઈ ભાઈઓએ મૃતકના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ બનાવ શંકાસ્પદ હોવાનું જણાતા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં બંને પિતરાઈ ભાઈઓએ જ જમીન પચાવી લેવા માટે પિતરાઈ બહેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતક મહિલાના પ્રેમીની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી બંનેને અટકાયતમાં લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
નેસડા ગામના અને હાલ કાપોદ્રા રહી હીરા ઘસવાનું કામ કરતા સતુભાઈ આતુભાઈ ખસીયા (ઉ.વ.૩૦)એ ઊના પોલીસ સ્ટેશનમાં નેસડામાં રહેતા વિક્રમ વીરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, નેસડામાં રહેતા મંસુબેન હામાભાઈ ગોહિલનું ગત તા.૨૩-૩ના રાત્રિના થયેલું મૃત્યુ શંકાસ્પદ છે. મંસુબેન સાથે ફરિયાદીને સાત વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી જે ત્યારપછી પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી.
મંસુબેનના પિતા હામાભાઈ અરજણભાઈ ગોહિલનું પંદર વર્ષ પહેલાં અવસાન થયું હતું. જ્યારે અંદાજીત એક વર્ષ પહેલાં માતા પુનીબેનનું પણ અવસાન થયું હતું. મંસાબેન પોતે પરિવારમાં એકલા હતા. ત્યારબાદ મોટાબાપાનો દીકરો વિક્રમ વીરાભાઈ ગોહિલ મંસુબેનના ઘરે રહેતો હતો. મંસુબેનના ભાગમાં ૧૨ વીઘા ખેતીની જમીન આવી હતી. મંસુબેને આશરે પાંચ મહિના પહેલા ૫૦ ટકા જમીનનો વિક્રમ સાથે ભાગીદારી દસ્તાવેજ કરાવ્યો હતો. પરંતુ વિક્રમને પૂરેપૂરી જમીન જોઈતી હોવાથી મંસુબેનને ધમકાવતો રહેતો હતો. મંસુબેન આ વાત ઘણીવખત ફોનમાં સતુભાઈને કરતી. બંને પિતરાઈ ભાઈઓ તેને ઠપકો આપી કહેતા કે તું તારી બધી જમીન નામે કરી દે તો તારા લગ્ન કરાવી દેશું અને નામે નહીં કરી સતુ સાથે સંબંધ રાખીશ તો મારી નાખીશું તેવી ધમકી આપતા હતા.
ગત તા.૨૦ના રાત્રિના ૮.૩૦ના સતુએ મંસુબેન સાથે ફોન પર ૩૨ મિનિટ સુધી વાત કરી હતી. જેમાં મંસુબેને કહેલ કે, આપણા બંનેની સગાઈ બાબતે વિક્રમ તથા અમારા ઘરના સભ્યોએ મનુભાઈના ઘરે મીટિંગ રાખી છે. તો વિક્રમ મને તેડવા આવશે તો હું તેની સાથે જઈશ. ચાલુ ફોન દરમ્યાન વિક્રમ તેડવા આવતા ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ સવારે ૭ઃ૩૦ના ગામના આતુભાઈ દોહાભાઈ ગોહિલનો ફોન આવેલો કે, મંસુનું મોત થયું છે, તેની રાત્રે તબિયત બગડયા બાદ એટેક આવી ગયો હતો. ઘરના સભ્યોએ ગામમાં કોઈને જાણ કર્યા વગર મંસુના પાથવદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. અમારા સમાજમાં રાત્રિના કોઈ અંતિમ સંસ્કાર કરાતા નથી.
મંસુ આગલી રાત સુધી સ્વસ્થ હતી અને તેને કોઈ બીમારી પણ ન હતી. મોતનો બનાવ શંકાસ્પદ હોવાથી મંસુને હાર્ટએટેક નહીં પણ બંને પિતરાઈ ભાઈઓએ પૂરેપૂરી જમીન પચાવી પાડવા તેનું કોઈપણ રીતે મોત નીપજાવ્યું હોવાનું લાગી રહ્યું છે. આ બનાવમાં પોલીસની ઝીણવટભરી તપાસમાં મંસુબેનની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થતા વિક્રમ અને મનુની સામે બીએનએસ કલમ ૧૦૩(૧), ૫૪ મુજબ ગુનો નોંધી પોલીસે બંનેની અટક કરી હતી. નાના એવા ગામમાં જમીન બાબતે પિતરાઈ બહેનની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી.
મનુએ હાથ પકડી રાખ્યા અને વિક્રમે ગળુ દબાવી દઈ મંસુબેનને મારી નાખી
તપાસનીશ અધિકારી પીઆઈ એન.બી. ચૌહાણે હત્યાની ઘટના અંગે જણાવ્યું હતું કે, બંને આરોપીઓ વિક્રમ અને મનુની સાત દિવસ સુધી સઘન પૂછપરછ અને અન્યોના નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે, રાત્રિના સમયે વિક્રમ બાઈક પાછળ મંસુને બેસાડી મનુના ઘરે લઈ ગયો હતો. જ્યાં મનુએ મંસુબેનના હાથ પકડી રાખેલા અને વિક્રમે ગળુ દબાવી તેણીને મારી નાખી હતી. બાદમાં કલાકોના સમયમાં અમુક લોકો સાથે મંસુબેનના મૃતદેહને ઊના સ્મશાને લાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ ઘટનામાં બીજા કોઈપણ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ ? તે અંગેની તપાસ ચાલુ છે અને જે કોઈના નામ ખુલશે તેમને છોડવામાં નહીં આવે તેમ વધુમાં જણાવ્યું હતું.















