![]()
અંતે ભાજપના નગરસેવકનો અંતરઆત્મા જાગ્યો! : ફોર્મમાં વાંધેદાર તરીકે સરતચૂકથી સહી કરી છે, જે રદ્દ ગણવા પ્રાંત અધિકારીને સોગંદનામા સાથે અરજી આપતાં ચકચાર
જૂનાગઢ, : ભાજપના નગરસેવકે વોર્ડ નંબર 11ના ઘાંચીપટ વિસ્તારના બૂથનાં ફોર્મ નંબર-7 ભરી 300થી વધુ મતદારોના નામ રદ કરવા માટે વાંધા અરજી આપી હતી. અંતે, તેમનો અંતર આત્મા જાગ્યો હોય તેમ પોતે જ સોગંદનામા પર જાહેર કર્યું છે કે તેણે જેટલા ફોર્મ નંબર-7 ફરી આપ્યા છે તે તમામ અરજી સરતચૂકથી થઈ ગઈ છે અને તેની જે સહી છે તે રદ ગણવી. તેમણે પ્રાંત અધિકારી સમક્ષ સોગંદનામાં સાથે આવી રજૂઆત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
છેલ્લા થોડા દિવસોથી SIRના મુદ્દે ગુજરાતભરમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના આગેવાનો ચોક્કસ મતદારોને ટાર્ગેટ કરી તેમનું નામ મતદારયાદીમાંથી રદ કરાવવા માટે અરજી કરી રહ્યા છે. જૂનાગઢમાં પણ 13,000થી વધુ ફોર્મ નંબર 7 ભરી મતદારોના નામ સામે વાંધા લેવામાં આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ પદ્મશ્રી હાજી રમકડુંનુ નામ મતદારયાદી માંથી કાઢી નાખવા માટેનો વિવાદ થયો હતો અને તે અરજી પણ ભાજપના જ નગરસેવક દ્વારા કરવામાં આવી હતી. આવી અરજીઓ પૈકી વોર્ડ નંબર 11ના ઘાંચીપટ વિસ્તારના 300થી વધુ મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભરી વોર્ડ નં. 6 ના ભાજપના નગરસેવક અને સ્થાયી સમિતિના સદસ્ય પ્રવીણભાઈ વાઘેલા દ્વારા જૂનાગઢના પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી હતી. હવે તેમણે તા. 28ના સોગંદનામું કરી પોતે ભરેલા તમામ ફોર્મ નંબર 7 રદ ગણવા માટે અરજી કરી છે.















