![]()
સિંધુ જળ સંધિ રદ કર્યા પછી પાક.ને વધુ એક ફટકાની ભારતની તૈયારી
૧૯૮૪માં શરૂ થયેલા બેરેજનું કામ ૧૯૮૯, ૨૦૧૨માં અટકાવાયું હતું ઃ બેરેજ બન્યા પછી સ્થાનિકોની પાણીની સમસ્યા દૂર થશે
નવી દિલ્હી: પહેલગામ આતંકી હુમલા પછી સિંધુ જળ સંધિ સ્થગિત કર્યાના નવ મહિના પછી ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો આપવાની તૈયારી કરી છે. સિંધુ જળ સંધિ ફરી શરૂ કરવા માટે પાકિસ્તાને અનેક ધમપછાડા કર્યા, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી પણ કરી, પરંતુ તેને સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સિંધુ જળ સંધિ શાંતિકાળ માટે હતી, પરંતુ પાકિસ્તાન શાંતિ સ્થાપિત કરવા માગતું નથી તો આ સંધિ પણ નહીં રહે. હવે ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો આપવાની તૈયારીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં જેલમ નદી પર ચાર દાયકાથી અટવાયેલો વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની તૈયારી કરી છે.
ભારતના સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના નિર્ણયથી પશ્ચિમી નદીઓ સિંધુ, જેલમ અને ચીનાબ પર બાંધકામ કરવાના અગાઉના પ્રતિબંધો હટી ગયા છે. ૧૯૬૦માં વિશ્વ બેન્કની મધ્યસ્થતાથી કરાયેલી સંધિએ પાકિસ્તાનની સહમતિ સિવાય બેરેજ અને બંધ બાંધવાની ભારતની ક્ષમતા સીમિત કરી હતી. જોકે, હવે જમ્મુ અને કશ્મીર સરકાર લાંબો સમયથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટ પર ફરી કામ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાતા આ પ્રોજેક્ટનો હેતુ જેલમ નદીમાંથી આવતા પાણીનું નિયમન કરવાનો તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન નેવિગેશન બહેતર બનાવવાનો છે. અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રના સહયોગ સાથે ટૂંક સમયમાં બાંધકામ ફરી શરૂ થશે.
વુલર તળાવની આપસાસ રહેતા સ્થાનિક સમુદાય માટે પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી આશા જાગી છે. મોસમી ફેરફાર અને કાંપને કારણે તળાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે માછીમારી તેમજ સિંઘાડા અને કમળદાંડીની ખેતી પર વિપરીત અસર પડી છે. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ શિયાળામાં જેલમમાંથી પાણી ઓછું આવવાથી વિશાળ હિસ્સા સુકાઈ ગયા છે, જેના કારણે અનેક લોકો બેરોજગાર થઈ ગયા છે અને તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે. ૧૯૮૪માં પ્રથમ વાર વુલર પ્રોજેક્ટ પર કામ શરૂ થયું ત્યારથી વારંવાર અવરોધો ઊભા થતા રહ્યા છે. આતંકવાદને કારણે પહેલા તેને ૧૯૮૯માં અટકાવી દેવામાં આવ્યો અને પછી ૨૦૧૦માં ટૂંક સમય માટે શરૂ થયું જે સોપોરેમાં નિંગલી ખાતે આતંકી હુમલા પછી ફરી ૨૦૧૨માં અટકાવી દેવામાં આવ્યું. પાકિસ્તાને સતત બેરેજનો વિરોધ કર્યો છે અને દલીલ કરી છે કે જેલમ પર ભારતના નિયંત્રણથી નીચાણવાળા વિસ્તારોમાં દુષ્કાળ અથવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.















