વીર દેવાયત બાપાના શૌર્યને સલામ માયધારમાં ઇતિહાસ જીવંત બન્યો
માયધાર ગામે ગૌરવનો સૂર્યોદય દેવાયત બાપા બોદરની પ્રતિમા અનાવરણઃ બલિદાનની સુગંધથી મહેક્યું

પાલીતાણા તાલુકાના માયધાર ગામે યદુવંશી વીર આહીર શ્રી દેવાયત બાપા બોદરની પ્રતિમાનું ભવ્ય અનાવરણ તથા ધાર્મિક સાંસ્કૃતિક ધર્મસભાનો ગૌરવસભર કાર્યક્રમ યોજાયો આ પવિત્ર પ્રસંગે આહીર સમાજના રાજકીય,સામાજિક તથા ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ સાથે આસપાસના ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા સમગ્ર માયધાર ગામે આજે ગૌરવ,ભાવના અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો પરંપરાગત વિધિ વિધાનો,વેદમંત્રો અને ધાર્મિક ભાવનાના મધુર સ્પંદનો વચ્ચે વીર દેવાયત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ

ઉપસ્થિત મહાનુભાવોએ વીર દેવાયત બોદરના અદમ્ય શૌર્ય,બલિદાન અને સમાજપ્રેમના અવિસ્મરણીય ઇતિહાસને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી અનેક વક્તાઓએ જણાવ્યું હતું કે દેવાયત બાપા માત્ર એક ઐતિહાસિક પાત્ર નહી,પરંતુ આહીર સમાજના સ્વાભિમાન, એકતા અને અડગ હિંમતના જીવંત પ્રતીક છે યદુવંશી આહીર સમાજના ગૌરવ પુરુષ વીર દેવાયત બાપા બોદર શૂરવીરતા,પરાક્રમ અને સ્વધર્મ માટેના અદ્વિતીય બલિદાન માટે જાણીતા રહ્યા છે લોક પરંપરાઓ અને સામાજિક સ્મૃતિમાં તેઓ એવા યોદ્ધા તરીકે યાદ કરવામાં આવે છે

જેમણે અન્યાય અને અત્યાચાર સામે અડગ સંઘર્ષ કર્યો હતો સમાજના માન મર્યાદા અને ગૌરવની રક્ષા માટે જીવન અર્પણ કરનાર દેવાયત બાપાનું નામ આહીર સમાજમાં આજે પણ શ્રદ્ધા અને ગૌરવ સાથે ઉચ્ચારવામાં આવે છે તેમના શૌર્યગાથાઓ પેઢીથી પેઢી પ્રેરણાનું પ્રકાશપુંજ બની રહી છે
આ પ્રસંગ માત્ર પ્રતિમાનું અનાવરણ નહોતુ,પરંતુ આહીર સમાજની અખંડ એકતા,સંસ્કૃતિપ્રેમ અને ઐતિહાસિક ગૌરવનું ભવ્ય પ્રતિક બની રહ્યો હતો કાર્યક્રમમાં રાજકીય ક્ષેત્રના વિવિધ પક્ષ વિપક્ષના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સમાજના ઉત્થાનમાં ફાળો આપતા અગ્રણી દાતાઓ ઉદ્યોગપતિઓ અને સેવાભાવી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતુ
પાલીતાણા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આહીર જ્ઞાતિના ભાઈ બહેનો ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માયધાર આહીર સમાજ અને ગામના યુવાનો દ્વારા અનન્ય જહેમત ઉઠાવવામાં આવી હતી વ્યવસ્થાપન યાત્રાળુઓની આવકાર વ્યવસ્થા, પ્રસાદ ભોજન સહિતની તમામ કામગીરી સુંદર અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવી હતી
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડી.કે. ડાંગર દ્વારા કરવામાં આવ્યુ હતુ તેમના સુચારૂ આયોજન અને સમર્પિત પ્રયાસોથી કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર બન્યો હતો અંતે સમગ્ર માયધાર ગામે એક સ્વરથી વ્યક્ત કર્યું કે વીર દેવાયત બાપા બોદરની આ પ્રતિમા આવનારી પેઢીઓને શૌર્ય,સ્વાભિમાન અને સમાજસેવાની પ્રેરણા આપતી રહેશે અને આહીર સમાજની ગૌરવગાથાને અવિનાશી બનાવતી રહેશે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા















