PM Modi’s Reaction After Iran’s Attack On UAE : અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર ભયાનક હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલો ઝિંકી છે અને ફારસની ખાડીમાં બહેરીન, કતર, કુવૈત, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલા અમેરિકન સેન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ત્યારે મિડલ ઈસ્ટ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે ઈરાને સંયુક્ત આરબ અમિરાત પર કરેલા હુમલાની નિંદા કરી છે.
વડાપ્રધાને UAE પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી
મિડલ ઈસ્ટમાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ અને તેમના ભાઈ સમાન શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને UAE પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને આ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ભારત મજબૂતીથી UAE ની સાથે ઉભું છે. વડાપ્રધાને UAEમાં વસતા ભારતીય સમુદાયની કાળજી રાખવા બદલ યુએઈના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. ભારતે આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા અને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા તેમજ સ્થિરતા જાળવવા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતાનું મોત
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયેલે સાથે મળીને શનિવારથી ઈરાન પર હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈ ઉપરાંત આર્મી ચીફ ઓફ સ્ટાફ, સંરક્ષણ મંત્રી, રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને ખામનેઈના ટોચના સુરક્ષા સલાહકાર પણ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે અમેરિકા-ઈઝરાયેલે હુમલો કરતા ઈરાને પણ વળતો જવાબ આપ્યો હતો અને તેણે ફારસની ખાડીમાં બહેરીન, કતર, કુવૈત, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલા અમેરિકન સેન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આજે રવિવારે પણ દુબઈ, દોહા અને મનામામાં વિસ્ફોટાનો અવાજો સંભળાયા હતા. હાલ દુબઈ એરપોર્ટ બંધ કરાયું છે અને પામ જુમેરાહ તથા બુર્જ અલ જેવા મહત્ત્વનો સ્થળોને નુકસાન થયું છે. યુએઈના અનેક સ્થળો પર મિસાઈલ હુમલો થયા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ઈરાનની ટીકા કરી છે.
આ પણ વાંચો : ‘ભાનમાં આવો, તમારું યુદ્ધ પડોશીઓ સાથે નથી’, દુબઈ પર હુમલા બાદ ભડક્યું UAE
ઈરાને આરબ દેશો પર હુમલા કર્યા
અમેરિકા-ઈઝરાયલે ભેગા થઈને મોટાપાયે ઈરાન પર હુમલા કર્યા બાદ થોડાં જ કલાકોમાં ઈરાન સરકારે જાહેરાત કરી છે કે, સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે. ટ્રમ્પે હુમલાની જાહેરાત કરવાની સાથે ઈરાનિયોને આ તકનો લાભ ઉઠાવવા, સત્તા પર કબજો કરવાનું આહવાહન કર્યું. જવાબમાં ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલો ઝિંકી હતી અને બહેરીન, કુવૈત અને કતારમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. હજુ પણ સામસામે હુમલાઓ ચાલી રહ્યા છે.















