![]()
Rajkot Range IG Nirlipt Rai: રાજકોટ રેન્જના આઈજી તરીકે આઈપીએસ (IPS) નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા વિવાદ અને વિવિધ અટકળો પર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્વીકાર કરતા કહ્યું કે, ‘મે ગૃહમંત્રીને કડક અધિકારીની નિમણૂક કરવા માટે રજૂઆત કરી હતી.’
સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો વિવાદ
તાજેતરમાં જેલવાસ ભોગવી રહેલા નિખિલ દોંગાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાઈરલ થઈ હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સૌરાષ્ટ્રના એક શક્તિશાળી નેતાએ નિર્લિપ્ત રાયની બદલી અટકાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ IGP
જયરાજસિંહ જાડેજાની સ્પષ્ટતા
આ વિવાદ વચ્ચે મૌન તોડતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવે તેવી ભલામણ મેં જ વ્યક્તિગત રીતે ગૃહમંત્રી સમક્ષ કરી હતી. મારો હેતુ સ્પષ્ટ હતો કે ગોંડલ અને સમગ્ર રાજકોટ રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે.’
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે નિર્લિપ્ત રાય જેવા સક્ષમ અને ઈમાનદાર અધિકારીની જરૂર હતી. આગામી સમયમાં કોઈ ખોટા આક્ષેપો કે અનાવશ્યક વિવાદો ઊભા ન થાય તે માટે પણ કડક અધિકારીનું હોવું અનિવાર્ય હતું. આ નિમણૂક પાછળ કોઈ રાજકીય દબાણ નથી, માત્ર પ્રજાની સુરક્ષા અને શાંતિનો હેતુ છે.’
નિર્લિપ્ત રાયની છબી
નિર્લિપ્ત રાય ગુજરાત કેડરના એવા અધિકારી છે જેઓ તેમની ‘સિંઘમ’ જેવી કડક શૈલી અને ભૂમાફિયાઓ તેમજ ગુંડાતત્વો સામેની કડક કાર્યવાહી માટે જાણીતા છે. અમરેલીના એસપી (SP) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગુનાખોરી નાબૂદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે રાજકોટ રેન્જમાં તેમની નિમણૂકથી ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.















