![]()
– ખંભાત તાલુકાના રાલજ ગામની ઘટના
– યુવકે કિશોરીને પ્રેમજાળમા ફસાવી હોવાનું તપાસમાં ખૂલ્યું : પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આણંદ : ખંભાત તાલુકાના રાલજ ગામની એક કિશોરીને તેના પ્રેમીએ લાફો મારીને અપમાનિત કરતા કિશોરીને મનમાં લાગી આવ્યું હતું અને તેણીએ પોતાના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખંભાત તાલુકાના રાલજ ગામે રહેતી એક ૧૫ વર્ષીય કિશોરીએ ગત તારીખ ૨૩મી ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરે રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ નોધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં કિશોરીના પિતાએ તેણીનો મોબાઇલ ચેક કરતા ગત તારીખ ૨૩મી ફેબુ્રઆરીના રોજ સવારના સુમારે એક મોબાઈલ નંબર ઉપરથી તેણીને મેસેજ આવ્યો હતો. જેના આધારે તેઓની દીકરીને કોઈ સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તપાસ કરતાં રાલજ ગામના મહેન્દ્ર ઉર્ફે ગગુ રમેશભાઈ મકવાણાએ કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હોવાનું ઉજાગર થયું હતું. વધુ તપાસ કરતા ગત તારીખ ૨૨મી ફેબુ્રઆરીના રોજ કિશોરી સખીઓ સાથે સિકોતર માતાના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી, જ્યાં મહેન્દ્ર ઉર્ફે ગગુ પણ આવ્યો હતો અને નજીકમાં આવેલા શિવલિંગ મંદિર પાસે કિશોરી સાથે બોલાચાલી થતા તેણીને જાહેરમાં લાફો મારી અપમાનિત કરી હતી. જેથી કિશોરીને મનમાં લાગી આવતા તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે મહેન્દ્ર ઉર્ફે ગગુ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.















