![]()
‘SIR’ના ચક્રવ્યૂહમાં રાજકીય સમીકરણો બદલાયાં : 5 વર્ષમાં રાજકીય ભૂગોળમાં બદલાવ : મહાનગર બનેલા મોરબીમાં મતદારોમાં 38 ટકાનો ઉછાળો : પણ પોરબંદરમાં ઘટાડાથી આશ્ચર્ય
રાજકોટ, : સૌરાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં 2021થી 2026 સુધીનો 5 વર્ષનો સમયગાળો ભૌગોલિક અને વહીવટી ધરમૂળથી ફેરફારોનો રહ્યો છે. 2026ની ચૂંટણીમાં રાજકોટ અને જામનગર જેવા મહાનગર તેમજ થોડા સમય પહેલા જ એવો દરજ્જો પામેલા મોરબી અને પોરબંદરમાં મતદારોમાં મોટી ઉથલ-પાથલે રાજનીતિજ્ઞાોને ચોંકાવ્યા છે. રાજકોટ અને જામનગર જેવા મેટ્રો શહેરની સાથે નવા મ્યુનિસિપલ કોર્પોરેશન બનેલા પોરબંદરમાં આશ્ચર્યજનક રીતે મતદારો ઘટયા છે, જ્યારે મોરબીમાં ઉછાળો આવ્યો છે. આ ફેરફાર પાછળ વિવાદિત વિશેષ મતદાર યાદી સુધારણા ઉપરાંત નવા સીમાંકન અને નગરપાલિકામાંથી મહાપાલિકામાં થયેલું રૂપાંતર મુખ્ય કારણો છે. જો કે 26મી એપ્રિલે મતદાન પર તેની કેવી અસર પડશે, એ સમય જ કહેશે.
રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. 2021માં રાજકોટમાં 10.93 લાખ મતદારો હતા, જે 2026માં ઘટીને 9.85 લાખ થઈ ગયા છે. એટલે કે 1.08 લાખ મતદારોનો જંગી ઘટાડો નોંધાયો છે. રાજકોટના સીમાંકનમાં ફેરફારને કારણે અમુક અર્ધ-શહેરી વિસ્તારો અન્ય મતક્ષેત્રોમાં ભળ્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને એસઆઈઆર અંતર્ગત અમુક જૂની વસાહતોનું પુનઃસ્થાપન થતા મતદારોની યાદીમાંથી ડુપ્લીકેટ કે જૂના નામો દૂર થયા હોવાનું મનાય છે. મતદારો ઘટવા છતાં વહીવટી રીતે સીમાંકન એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે સત્તાધારી પક્ષ પકડ મજબૂત રાખી શકે. જો કે, નવા વોર્ડના સીમાંકને રાજકીય સમીકરણો બગાડયા છે.
જામનગરમાં પણ 2021ની સરખામણીએ 2026માં 46,155 મતદારોનો ઘટાડો થયો છે. 2021માં 4.88 લાખ મતદારો હતા જે હવે 4.42 લાખ છે. મહાપાલિકામાં ભળેલા નવા ગામડાઓના સીમાંકન બાદ પણ મતદારો ઘટયા છે. રિફાઈનરી વિસ્તાર અને ઔદ્યોગિક ઝોનમાં શ્રમિક વર્ગની અવરજવરને કારણે મતદાર યાદીમાં આ ફેરફાર દેખાય છે. આસપાસના વિસ્તારોને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં સમાવવાની પ્રક્રિયાને કારણે રહેણાંક વિસ્તારોમાં બદલાવ આવ્યો છે.
સૌથી વધુ ધ્યાન ખેંચનાર શહેર મોરબી છે. 2021માં મોરબી નગરપાલિકાના દરજ્જામાં હતું, જે હવે મહાપાલિકા બન્યું છે. અહીં મતદારોમાં 57,855નો તોતિંગ વધારો થયો છે. સિરામિક ઉદ્યોગના હબ એવા મોરબીમાં 5 વર્ષમાં હજારો લોકો સ્થાયી થયા છે. મહાપાલિકાનો દરજ્જો મળતા આસપાસના પંચાયત વિસ્તારો હવે મ્યુનિસિપલ હદમાં આવ્યા છે, જેને કારણે આંકડો 1.50 લાખથી વધીને 2.08 લાખ પર પહોંચી ગયો છે. વધેલા મતદારોમાં મોટો હિસ્સો પરપ્રાંતીય શ્રમિકો અને નવા સ્થાયી થયેલા પરિવારોનો છે, જે આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષની બાજી પલટી શકે છે.
પોરબંદરમાં 2021માં 1.85 લાખ મતદારો હતા જે હવે ઘટીને 1.66 લાખ થયા છે. 18,357 મતોનો ઘટાડો સૂચવે છે કે યુવા વર્ગ રોજગારી માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યો છે. 2021માં પોરબંદર નગરપાલિકા હતું, જે સીમાંકન બાદ નવા માળખામાં ઢળ્યું છે. અહીં જ્ઞાતિ સમીકરણો મજબૂત છે, પરંતુ મતદારો ઘટતા ઉમેદવારોએ એક-એક મતના સરવાળા કરવા પડશે.















