![]()
– આ ઉદ્યોગ સાહસિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ : આનંદ મહિન્દ્રા
– ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વર્ષભર મળી રહે તેવી ‘સદાબહાર’ કેરીના પ્રયોગો કરનાર ખેડૂતને મદદની તૈયારી બતાવી
નવી દિલ્હી : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં એક ખેડૂતના પ્રયોગોની પ્રશંસા કરતા લખ્યું હતું કે એક એવી વ્યાપક માન્યતા છે કે જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થાય છે તેમ તેમ ખેતીનું મહત્ત્વ ઘટી જાય છે, પરંતુ ખરેખર એવું નથી. જો ખરેખર યોગ્ય ઢબે પ્રયોગો કરવામાં આવે તો ખેતીમાંથી પણ ઉદ્યોગ સાહસિકતાનો જન્મ થાય છે. કોટાની બાજુના ગામના એક ખેડૂત તેનું ઉદાહરણ છે.
આનંદ મહિન્દ્રાએ ખેડૂતની સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે શ્રી કિશન સુમન નામના ખેડૂતે ઘઉં, ચોખાની ખેતીની સાથે એક ઓછા ફાઈબર ધરાવતી કેરીની જાતને ઉછેરી હતી. સદાબહાર નામની આ કેરીની જાત વર્ષમાં ત્રણ વખત પાકે છે. આ આંબામાં જાન્યુઆરીથી ફેબુ્રઆરી, જૂન-જુલાઈ અને સપ્ટેમ્બર-ઓક્ટોબર એમ વર્ષમાં ત્રણ સીઝન કેરી પાકે છે. તેના કારણે આખું વર્ષ કેરીની સીઝન રહે છે. આ ખેડૂતે લગભગ એક દશકાના પ્રયાગો પછી બારમાસી કેરીની જાત વિકસાવી છે. આલ્ફાન્ઝો જેવો તેનો સ્વાદ છે અને તેમાં ફાઈબરનું પ્રમાણ પણ ઘણું ઓછું છે. હવે આ પ્રકારના આંબાં ખાનગી બાગથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા છે. અલગ અલગ વાતાવરણ અને પ્રદેશમાં કેરી પર શું અસર થાય છે તેના પર સંશોધકો પ્રયોગો કરી રહ્યા છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ ખેડૂતને સદાબહાર જાતની કેરીનું વધુ ઉત્પાદન કરવા અને દેશમાં આખું વર્ષ કેરીની સીઝન રહે તે માટે પ્રોત્સાહન આપતા કહ્યું કે જો આ ખેડૂત ઈચ્છે તો હું મદદ કરવા તૈયાર છું. આ એક સાચી પદ્ધતિ છે, સાચી ઉદ્યોગ સાહસિકતા છે. વિજ્ઞાાન અને કૃષિનો સંયોગ સાધીને જે પ્રયોગ થયો છે એ પ્રશંસનીય છે. આપણે એન્જિનિયરિંગ કેમ્પસમાં સ્ટાર્ટઅપ્સ શોધીએ છીએ, પરંતુ આપણે ખેતરોને પણ નજીકથી જોવાની જરૂર છે. કેરીની આ જાતનું ઉત્પાદન વધે અને સપ્લાય ચેન યોગ્ય થાય તો ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. તમે વિચારો કે જો કેરીની સીઝન વર્ષમાં ક્યારેય પૂરી જ ન થાય તો એવો અનુભવ હશે?















