![]()
નહીં જેવી ક્ષુલ્લક વાતમાંથી વતેસર થયું
નાચવા દરમિયાન અથડાઇ પડતાં ગાળો બોલવાની ના કહીને યુવક નીકળી ગયો છતાં આરોપીઓે આંતરીને માથું ફોડી નાંખ્યું
ગાંધીનગર : ગાંધીનગર નજીક વાસણ ગામમાં નહીં જેવી ક્ષુલ્લક વાતમાંથી
વતેસર થતાં મામલો આખરે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. જેમાં લગ્નના વરઘોડામાં
નાચવા દરમિયાન ધક્કામુક્કી થયાના પગલે એકબીજા સાથે અથડાઇ પડતાં મામલો બિચક્યો હતો.
દરમિયાન ગાળો બોલવાની ના કહીને ત્યાંથી નીકળી ગયેલા યુવાનને આંતરીને ગામના જ ત્રણ
શખ્સોએ હુમલો કરી માથુ ફોડી નાંખતા પોલીસે ધોરણ સરની કાર્યવાહી કરી હતી.
આ બનાવ અંગે વાસણિયા મહાદેવ ગામે રહેતાં ખેડૂત યુવાન
જયપાલસિંહ જગતસિંહ વાઘેલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામનાં
જ રહેવાસી લાલભાઇ નવુસિંહ વાઘેલા,
જશવંતસિંહ નવુસિંહ વાઘેલા અને રાજવરસિંહ ઉર્ફે ચકુના નામ આપવામાં આવ્યાં છે.
પેથાપુર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યા પ્રમાણે
ગત તારીખ ૨૦મીએ મિત્રના લગ્ન પ્રસંગે વરઘોડા હોવાથી ફરિયાદી અને આરોપીઓ તેમાં સામેલ
થયા હતાં. વરઘોડામાં નાચવા દરમિયાન ધક્કામુક્કી થતાં આરોપીઓ ગાળો બોલવા લાગતાં
ફરિયાદી યુવાને ગાળો બોલીને પ્રસંગ ન બગાડો તેમ કહીને ત્યાંથી નીકળી ગયો હતો. તે
ચાલીને જતો હતો, દરમિયાન
આરોપીઓએ મંદિર પાસે તેને આંતરીને હુમલો કરી દીધો હતો અને ગડદા પાટુ મારવા લાગ્યા
હતાં. જ્યરે રાજવીરસિંહે હાથમાં પહેરેલુ કડું માથામાં મારી દેતાં માથામાં ફુટ થઇને
લોહી વહેવા લાગ્યુ હતું. દરમિયાન આવેલા મિત્રોએ જયપાલસિંહને હુમલામાંથી બચાવીને
ખાનગી દવાખાનામાં સારવાર અપાવી હતી.
















