Lok Sabha Live : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા બાદ સ્પીકર ઓમ બિરલાએ આજે પ્રથમ વખત આસન સંભાળ્યું હતું. આ પ્રસંગે તેમણે લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અને સંસદીય નિયમોની સર્વોપરિતા પર ભાર મૂકતા અનેક મહત્વની વાતો કરી હતી.
સંસદના નિયમો સર્વોપરી
ઓમ બિરલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, લોકશાહીમાં મજબૂત વિપક્ષનું હોવું અત્યંત આવશ્યક છે. તેમણે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “સંસદના નિયમો બધા માટે સમાન છે. કોઈ પણ વ્યક્તિ નિયમથી ઉપર નથી, પછી તે વડાપ્રધાન કેમ ન હોય. વડાપ્રધાને પણ નિયમ 372 હેઠળ બોલતા પહેલા અધ્યક્ષની પરવાનગી લેવી અનિવાર્ય છે.”
12 કલાકથી વધુ ચાલેલી ચર્ચા
સ્પીકરે માહિતી આપી કે છેલ્લા બે દિવસમાં ગૃહમાં 12 કલાકથી વધુ ચર્ચા થઈ છે, જેથી તમામ સભ્યોના વિચારો અને ચિંતાઓ સામે આવી શકે. તેમણે ઉમેર્યું કે, “આ ગૃહ 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં દરેક સાંસદ પોતાની જનતાની સમસ્યાઓ સાથે આવે છે. મેં હંમેશા ઓછું બોલતા સાંસદોને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા છે, કારણ કે બોલવાથી લોકશાહીનો સંકલ્પ મજબૂત થાય છે.”
આ પણ વાંચો : ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
માઈક બંધ કરવાના આક્ષેપો પર ખુલાસો
વિપક્ષ દ્વારા વારંવાર માઈક બંધ કરવાના જે આક્ષેપો થાય છે તેના પર ઓમ બિરલાએ કહ્યું, “ચેર (અધ્યક્ષના આસન) પાસે માઈક બંધ કરવાનું કોઈ બટન હોતું નથી. વિપક્ષના જે સભ્યો આ આસન પર બેસે છે તેમને પણ આ હકીકતની ખબર જ છે.”
મહિલા સભ્યો અને ગૃહની મર્યાદા
મહિલા સભ્યોને ઓછી તક આપવાના આરોપોને નકારતા તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં તમામ મહિલા સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. બજેટ ચર્ચા દરમિયાન કેટલીક મહિલા સભ્યો દ્વારા ટ્રેઝરી બેન્ચ તરફ જઈને નારેબાજી કરવાની ઘટનાને તેમણે આઘાતજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેઓ મોડી રાત સુધી બેસીને પણ દરેક સભ્યને બોલવાની તક આપવાનો પ્રયાસ કરે છે.
નિલંબન અને ગૃહની ગરિમા
સાંસદોના નિલંબન અંગે તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “મારે તમામ સભ્યો સાથે પક્ષથી ઉપર ઉઠીને વ્યક્તિગત સંબંધો છે. પરંતુ ગૃહની વ્યવસ્થા જાળવવી એ મારી જવાબદારી છે. જ્યારે સભ્યો ગૃહની ગરિમા જાળવતા નથી, ત્યારે મારે કઠોર નિર્ણયો લેવા પડે છે. આપણે સૌએ વિચારવું જોઈએ કે ગૃહને નિલંબન જેવા કઠોર નિર્ણયો લેવાની નોબત કેમ આવે છે?”















