![]()
વડોદરા,ડભોઇના ધરમપુરી ખાતેથી પકડાયેલા બોગસ ડોક્ટરને દવાઓનું વેચાણ કરનાર વડોદરાની દવાઓની એજન્સીનું લાયસન્સ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયમ માટે રદ્દ કરવામાં આવ્યું છે.
ડભોઇ તાલુકાના ધરમપુરી ગામે ખોટી રીતે ક્લિનિક ચલાવતા ડોક્ટરની ત્યાં ઓક્ટોબર – ૨૦૨૫ માં વડોદરા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી ઝડપી પાડવામાં આવી હતી. વારાહી ક્લિનિક ચલાવતા અશ્વિનભાઇ ગૌરીશંકર પનોત પાસેથી મોટી માત્રામાં એલોપેથી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. વડોદરાના વડીવાડી વિસ્તારની કલ્યાણ ફાર્મસી નામની એજન્સીએ નિયમોનો ભંગ કરીને દવાઓ ખોટી રીતે ડોક્ટરને સપ્લાય કરી હોવાના પુરાવા મળી આવ્યા હતા. આ અંગે મદદનીશ કમિશનર એ.એચ. ઝાલાએ જણાવ્યું હતું કે, ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો-૧૯૪૦ ના નિયમો અનુસાર પેઢીને કારણ દર્શક નોટિસ પાઠવી પેઢીના પરવાનાઓ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યા છે.















