![]()
Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં યસ કોમ્પ્લેક્સથી હરીનગર બ્રિજ જંકશન સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ થતાં માર્ગ તબક્કાવાર તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક તરફના માર્ગ પર કામ હાથ ધરાશે અને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. કાર્યસ્થળે ઊંડા ખાડા હોવાને કારણે નાગરિકોએ સાવચેતી રાખવી તેમજ અવરજવર ટાળવી તેવો અનુરોધ કરાયો છે.
કારેલીબાગમાં એલ એન્ડ ટી સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધી પણ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. અગાઉ એક તરફના માર્ગ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો હતો, છતાં કેટલાક લોકો કામગીરી સ્થળે વાહનો પાર્ક કરી રહ્યા છે. ઊંડાઈ અને હેવી મશીનરીના ઉપયોગને કારણે અકસ્માતની શક્યતા હોવાને કારણે અહીં અવરજવર અને પાર્કિંગ ન કરવા અપીલ કરાઈ છે.
શહેરના પ્રવેશ માર્ગો સહિત મુખ્ય અને આંતરિક માર્ગો પર પાણી અને ડ્રેનેજ લાઈન માટે ખોદકામ તથા કેટલાક સ્થળોએ બ્રિજ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે અને રોજિંદા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે ચાલુ કામો વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

















