![]()
35 વર્ષના લગ્ન જીવન બાદ પત્નીએ પતિ સામે ભરણ-પોષણ માગ્યું હતું : રાજકોટ જિલ્લામાં રહેતી મહિલાએ વડોદરામાં દાવો દાખલ કરી હુકમ મેળવ્યો હતો : ભરણ-પોષણની રકમ ઘટાડી આપતો ચૂકાદો આપતાં પત્ની પિડીત પતિઓમાં આ ચૂકાદો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા/ રાજકોટ : ખેતીકામ કરતા વૃદ્ધ પતિની આર્થિક હાલત સારી ન હોવાથી વડોદરાના સેશન્સ કોર્ટે વૃદ્ધ દ્વારા તેની પત્નીને ચૂકવવામાં આવતા ભરણ-પોષણની રકમમાં 4,000નો ઘટાડો કરી આપ્યો હતો. સામાન્ય રીતે ભરણ પોષણની રકમમાં સતત વધારો થતો હોય છે ત્યારે આ કેસમાં ન્યાયાધીશે માનવીય અભિગમ અપનાવી ભરણ-પોષણની રકમ ઘટાડી આપતો ચૂકાદો આપતાં પત્ની પિડીત પતિઓમાં આ ચૂકાદો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
કેસની વિગત એવી છે કે, મૂળ રાજકોટ જિલ્લાના એક ગામમાં રહેતા મગનભાઇ પરમારના લગ્ન 35 વર્ષ પહેલા હીનાબહેન (બન્ને નામ બદલ્યું છે) સાથે થયા હતા. શંભુભાઈના આ બીજા લગ્ન હતા. તેમની પત્નીએ પતિ, પુત્ર અને પુત્રવધૂ સામે ઘરેલું હિંસાની ફરિયાદ કરી વડોદરાની ટ્રાયલ કોર્ટમાંથી માસિક રૂ. 7,000 ભરણપોષણ, રૂ. 3,000 ભાડું અને રૂ. 10,000 વળતરનો હુકમ મેળવ્યો હતો.
આ હુકમ સામે પતિએ એડિશનલ સેશન્સની અપીલ કરી હતી અને તેની સુનાવણીમાં દલીલ કરવામાં આવી હતી કે, પત્ની તેના પિયર પક્ષના અને ખાસ કરીને તેની બહેનના ચઢાવે ચઢીને ખોટા આક્ષેપો કરી રહી છે.
પતિએ કોર્ટમાં જણાવ્યું કે પત્ની વડોદરામાં રહેતી ન હોવા છતાં તેને હેરાન કરવા ખોટું સરનામું દર્શાવી કેસ કર્યો છે. અદાલતે ટ્રાયલ કોર્ટના રેકોર્ડની તપાસ કરતા જાણવા મળ્યું કે પત્નીએ પોતે કબૂલ્યું હતું કે તેના પતિ માત્ર ખેતીકામ કરે છે અને જમીન પણ વડિલોપાજત છે, જ્યારે પુત્ર સીઝનમાં બરફના ગોળાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે.
આ સંજોગોમાં પતિની આથક સ્થિતિ અને પક્ષકારોની વય જોતા સેશન્સ કોર્ટે નોંધ્યું કે ટ્રાયલ કોર્ટનો હુકમ માઈન્ડ એપ્લાય કર્યા વગરનો અને અતિશયોક્તિભર્યો જણાય છે. અંતે અદાલતે માનવતાવાદી અભિગમ સાથે ભરણપોષણની રકમ રૂ. 7,000 થી ઘટાડીને રૂ. 4,000 અને માનસિક ત્રાસનું વળતર રૂ. 10,000 થી ઘટાડીરૂ. 5,000 કરી આપી પતિની અપીલ મંજૂર કરી છે.















