– વાવ-થરાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
– વૈશ્વિક સંકટના સમયમાં દેશને એકતા-સહકારની જરૂર છે ત્યારે વિપક્ષ અફવા ફેલાવી દેશવાસીઓમાં ભય ફેલાવી રહ્યો છે
– પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડયો છે
અમદાવાદ : વૈશ્વિક કટોકટી-વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિને કારણે ઈંધણના ભાવ અને મોંઘવારીને નિયંત્રણમાં રાખ્યા છે. રાજકીય પક્ષો વૈશ્વિક સંકટના સમયમાં પણ પોતાનો રાજકીય લાભ મેળવવામાં વ્યસ્ત છે. દેશને એકતા-સહકારની જરૂર છે ત્યારે વિપક્ષના નેતાઓ દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વાવ-થરાદ ખાતે તેમના સંબોધનમાં જણાવ્યું હતું.
વાવ-થરાદ ખાતેથી સમગ્ર ગુજરાત માટે રૂપિયા ૧૯૮૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘પડકારજનક સમય અને અનેક મુશ્કેલીઓ હોવા છતાં આપણા દેશના નાગરિકો એકતા સાથે ઊભા રહે છે. છેલ્લા કેટલાક સમયમાં તમે જોયું હશે કે વિશ્વના અનેક દેશો યુદ્ધ, અસંતોષ અને અસ્થિરતાથી પીડાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડયો છે.
ઊર્જાની જરૂરિયાતો જેમ કે ડીઝલ, પેટ્રોલ અને ગેસની અછત સમગ્ર દુનિયામાં વધી ગઈ છે. આવા સંકટમાં પણ ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે.
આ પાછળ દેશની સફળ વિદેશ નીતિ અને દેશવાસીઓની એકતાનો મોટો ફાળો છે.જ્યારે દેશને એકતાની જરૂર છે ત્યારે વિપક્ષ ભય અને અફવા ફેલાવીને દેશને વહેંચવાનું કામ કરી રહી છે. વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી જનતાએ સાવધ રહેવું જોઈએ. ‘
આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે,સાથે તેમણે માર્ગ અને રેલવે કનેક્ટિવિટીમાં થઇ રહેલા વિકાસ થકી આ વિસ્તારના ઉદ્યોગો અને ખેડૂતો માટે નવા દ્વાર ખોલાશે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું કેન્દ્ર બની રહ્યું છે. ખાવડા સોલર પાર્ક દ્વારા ૪ ગીગાવોટ વીજળી પેદા થશે, જે ખેતી અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બનશે.’
કયા રોડનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું?
રૂપિયા ૭૦૫ કરોડના ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ, રૂપિયા ૫૭૫ કરોડના ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું ખાતમુહૂર્ત. ૧૨૯૮કરોડના અમદાવાદ-ધોલેરા પેકેજ ૧, રૂપિયા ૧૪૧૫ કરોડના પેકેજ ૨ રૂપિયા ૧૦૩૪ કરોડના પેકેજ ૩, રૂપિયા ૧૩૫૮ કરોડના પેકેજ ૪નું લોકાર્પણ.
અગાઉની સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે મારું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું છે.
આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૧૩૦ કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક છે. આ એરબેઝથી વિકાસને નવી દિશા મળશે. અલબત્ત, અગાઉની સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હોવાથી આ પ્રોજેક્ટ દાયકાઓથી ફાઇલમાં દબાયેલો પડયો હતો. દાયકાઓથી આ વિસ્તાર જે ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તેનો હવે અંત આવ્યો છે.’















