![]()
– નડિયાદની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટેનો ચુકાદો
– આરોપીને રૂ. 25 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કરાયો
નડિયાદ : નડિયાદની ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે એક ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપતા સગીરા પર દુષ્કર્મ આચરનાર મહુધા તાલુકાના હેરજ ગામના આરોપી સુનીલ મહેન્દ્રભાઈને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ કુલ ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો છે.
મહુધા તાલુકાના હેરજ ગામે રહેતા આરોપીએ તારીખ ૨૬-૦૪-૨૦૨૪ના રોજ એક ૧૭ વર્ષ અને ૩ માસની સગીરાને લગ્નની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હતો. ત્યારબાદ આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગજાર્યું હતું. આ મામલે મહુધા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા ૧૫થી વધુ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૧૨ સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. અદાલતે આરોપી સુનીલ મહેન્દ્રભાઈને આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળ ૫-૫ વર્ષની સજા અને પોકસો એક્ટની કલમ ૬ મુજબ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને કુલ ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો છે.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, સમાજમાં આવા ગંભીર ગુનાઓનું પ્રમાણ અટકાવવું ન્યાયપાલિકાની પવિત્ર ફરજ છે. ભોગ બનનાર સગીરાને આથક સહાય મળી રહે તે હેતુથી ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૩૫૭ મુજબ આરોપી પાસેથી વળતર પેટે ૧,૦૦,૦૦૦ રૂપિયા અપાવવાનો પણ મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ખાસ બાબત એ રહી કે તમામ સાક્ષીઓએ કેસને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને એક પણ સાક્ષી હોસ્ટાઈલ જાહેર થઈ નહતી.

















