– પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત્ રહેશે : ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટશે
– ડીઝલમાં રૂ. 21.50, એટીએફમાં રૂ. 29.50 નિકાસ જકાતથી સરકારને પખવાડિયામાં રૂ. 1,500 કરોડની આવક
– પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડયુટીમાં કાપથી સરકારી તિજોરી પર રૂ. 7,000 કરોડનો બોજ
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં યુદ્ધના પગલે દુનિયાભરમાં ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને પગલે અનેક દેશોની જેમ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની આશંકા વ્યક્ત થઈ રહી હતી, પરંતુ તેનાથી વિપરિત કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂ. ૧૦નો ઘટાડો કર્યો છે. કેન્દ્રના આ ઘટાડાના લાભની અસર રિટેલ પેટ્રોલ પંપો પર ભાવમાં ઘટાડા સ્વરૂપે જોવા નહીં મળે. કેન્દ્ર સરકારે સામાન્ય જનતા નહીં પરંતુ ઓઈલ કંપનીઓને લાભ માટે આ નિર્ણય લીધો હતો. વૈશ્વિક સ્તરે ક્રૂડના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે પેટ્રોલમાં સ્પેશિયલ એક્સાઈઝ ડયુટી રૂ. ૧૩થી ઘટાડીને રૂ. ૩ અને ડીઝલ પર રૂ. ૧૦થી ઘટાડીને શૂન્ય કરતાં ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટશે.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે. ભારતમાં પણ આ યુદ્ધની અસર થઈ છે. જોકે, ભારતે હોર્મુઝની ખાડી સિવાયના માર્ગોથી પણ ક્રૂડ ઓઈલ અને એલપીજીની ખરીદી શરૂ કરતાં લોકોને રાહત થઈ છે, પરંતુ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી સરકારી ઓઈલ કંપનીઓ પર નાણાકીય બોજ વધી ગયો છે. સરકારે ઓઈલ કંપનીઓનો બોજ ઘટાડવા માટે એક્સાઈઝ ડયુટીમાં પ્રતિ લીટર રૂ. ૧૦નો ઘટાડો કર્યો છે તેમ નાણામંત્રાલયે જણાવ્યું હતું.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જણાવ્યું કે, સ્પેશિયલ એક્સાઈઝ ડયુટીમાં ઘટાડાના પગલે હવે એક્સાઈઝ ડયુટી પેટ્રોલ પર રૂ. ૨૧.૯૦થી ઘટીને રૂ. ૧૧.૯૦, જેમાં રૂ. ૧.૪૦ બેઝિક એક્સાઈઝ ડયુટી, રૂ. ૩ વિશેષ વધારાની એક્સાઈઝ ડયુટી, રૂ. ૨.૫૦ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ તથા રૂ. ૫ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસનો સમાવેશ થાય છે જ્યારે ડીઝલ પર એક્સાઈઝ ડયુટી રૂ. ૧૭.૮૦થી ઘટીને રૂ. ૭.૮૦ થઈ છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાના પગલે સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરી ગ્રાહકો પર બોજ નાંખવો અથવા એક્સાઈઝ ડયુટી ઘટાડી પોતે બોજ ઉપાડવો એમ બે જ વિકલ્પ હતા, જેમાં સરકારે એક્સાઈઝમાં કાપ મૂકવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
મંત્રાલયે ઉમેર્યું કે, પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડયુટી ઘટાડવાની સાથે સરકારે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ) પર પ્રતિ લીટર રૂ. ૨૯.૫૦ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૨૧.૫૦ની નિકાસ ડયુટી નાંખી છે. આ રેટની પખવાડિયાના ધોરણે સમીક્ષા થશે. સરકારે અગાઉ જુલાઈ ૨૦૨૨માં પહેલી વખત રજૂ કરાઈ હતી, પરંતુ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ડિસેમ્બર ૨૦૨૪થી પાછી ખેંચી લેવાઈ હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના અધ્યક્ષ વિવેક ચતુર્વેદીએ કહ્યું કે, એક્સાઈઝ ડયુટીમાં ઘટાડાથી સરકારને આવકમાં એક પખવાડિયામાં રૂ. ૭,૦૦૦ કરોડનું ચોખ્ખુ નુકસાન થશે જ્યારે ડીઝલ અને એટીએફ પર વિશેષ વધારાની નિકાસ ડયુટી નાંખવાથી પખવાડિયામાં સરકારને રૂ. ૧,૫૦૦ કરોડની આવક થશે. આમ એક પખવાડિયામાં સરકારી તિજોરીને રૂ. ૫,૫૦૦ કરોડનો બોજ પડશે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરથી વધીને લગભગ ૧૨૨ ડોલર થઈ ગયો છે. એક્સાઈઝ ડયુટીમાં રૂ. ૧૦ના ઘટાડાથી ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૨૪ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૩૦નું નુકસાન થતું હતું તે હવે સેટઓફ થઈ જશે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૦થી ૫૦ ટકાનો ઉછાળો થયો છે. ઉત્તર અમેરિકન દેશોમાં ૩૦ ટકા, યુરોપમાં ૨૦ ટકા અને આફ્રિકાના દેશોમાં ૫૦ ટકાનો વધારો થયો છે ત્યારે ભારતમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.















