![]()
Sadhvi Prem Baisa Report : રાજસ્થાનના જોધપુરના ચર્ચિત સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ મોત મામલે પોલીસે આખરે સત્તાવાર ખુલાસો કર્યો છે. આ ઘટનામાં શનિવારે પોલીસ કમિશનર ઓમપ્રકાશ પાસવાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં FSL અને હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં સાધ્વીના મોતનું કારણ ‘કાર્ડિયાક અને પલ્મોનરી અરેસ્ટ’ સામે આવ્યું છે. એટલે કે હૃદય અને ફેફસાં અચાનક બંધ પડી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શરીરમાં કોઈ ઝેર અથવા અન્ય કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી, તે ઉપરાંત યૌન શોષણની આશંકાઓને રિપોર્ટમાં નકારી કાઢવામાં આવી છે.
શું ઇન્જેક્શનની આડઅસરને કારણે જ સાધ્વીનું મૃત્યુ થયું?
પરંતુ SIT તપાસમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, ઘટના સમયે એક કમ્પાઉન્ડરદેવી સિંહે સાધ્વીને ‘શેડ્યૂલ-એચ’ કેટેગરીનું ઇન્જેક્શન આપ્યું હતું. આ એવા ઇન્જેક્શન હોય છે જે ડોક્ટરની લેખિત સલાહ વગર આપી શકાય નહીં પણ કમ્પાઉન્ડરે દેવી સિંહે ઇન્જેક્શન સાધ્વીને આપ્યા હતા. તેથી પોલીસને એ પણ સવાલ કરવામાં આવ્યો કે શું આ ઇન્જેક્શનની આડઅસરને કારણે જ સાધ્વીનું મૃત્યુ થયું? આ સવાલના જવાબમાં કમિશનરે કહ્યું કે, આ બાબતે મેડિકલ એક્સપર્ટની રાય આવવાની હજુ બાકી છે. જો છેલ્લા રિપોર્ટમાં લાપરવાહી સાબિત થશે, તો જવાબદારો સામે BNS અને મેડિકલ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
44 લોકોના નિવેદનો નોંધ્યા
તપાસ માટે રચાયેલી SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)એ અત્યાર સુધીમાં 44 લોકોના નિવેદનો નોંધ્યા છે અને 106 મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ પણ તપાસી છે. સાધ્વીના પિતાની ભૂમિકા અંગે પોલીસે જણાવ્યું કે, મૃત્યુ બાદ ભીડ એકઠી કરવા માટે તેમણે જે મેસેજ વાઈરલ કર્યો હતો તે માત્ર ભાવનાત્મક પગલું હતું, તેમની કોઈ શંકાશીલ ભૂમિકા ન હતી.
આ પણ વાંચો: X દ્વારા અચાનક એકાઉન્ટ્સને કરવામાં આવી રહ્યાં છે સસ્પેન્ડ: જાણો કેવા એકાઉન્ટને કાઢવામાં આવી રહ્યાં છે…
મહત્વનું છે કે ધરપકડ કરાયેલા કમ્પાઉન્ડર દેવી સિંહે પોલીસને જણાવ્યું હતું કે, સાધ્વી પ્રેમ બાઈસા અગાઉ પણ ઘણી વખત ડેક્સોના ઈન્જેક્શન લઈ ચૂક્યા હતા. ડેક્સોના એક સ્ટેરોઇડ દવા છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે અસ્થમાના દર્દીઓ માટે થાય છે. તે ફેફસાના સોજાને ઘટાડવામાં મદદરૂપ છે. જો કે તેનો ઓવરડોઝ શરીર માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે કેમ ડૉક્ટરની સલાહ વગર ઈંજેક્શન આપવામાં આવ્યા, હાલ તો પોલીસ મોતનું કારણ કાર્ડિયાક અને પલ્મોનરી અરેસ્ટ જણાવી મેડિકલ નિષ્ણાંતોના અભિપ્રાયની રાહ જોઈ રહી છે. જેના આધારે આગળના એક્શન લેવાશે.


















