![]()
Surat : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં લાંબા સમયથી ત્રણ ટીપી સ્કીમમાં રહેણાંક મિલકત પર મુકાયેલા રિઝર્વેશન મુદ્દો હવે સીધો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. પાલિકાની ચૂંટણી પહેલા રિઝર્વેશન રદ કરવાની માંગણી સાથે અસરગ્રસ્તોએ કેટલાક કાર્યક્રમ જાહેર કર્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી તરફથી તેડું આવતા અસરગ્રસ્ત અગ્રણીઓ સ્થાનિક ધારાસભ્યને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી-મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ કહ્યું હતું પ્રિલિમિનરી સ્ટેજ હોવાને કારણે કોઇ સ્પષ્ટ નિર્ણય લેવાયો નહોતો, “વિશ્વાસ રાખો તેવી વાત કરતા અસરગ્રસ્તોને આશા બંધાઈ છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ત્રણ ટીપી સ્કીમ નંબર 49-50 અને 51માં રહેણાંક સોસાયટી પર અને સોસાયટીની વાડી કે સમાજની વાડી પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા. આ રિઝેશનના કારણે મોટી સંખ્યામાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ઘર હોવાથી ભારે વિરોધ થઈ રહ્યો છે. હાલમાં મોટી રેલી કાઢી પાલિકાને સામુહિક આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ મુદ્દો પાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે મોટો પડકાર બની શકે તેમ હોવાની વાત મેયર અને સ્થાયી અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને કરી હતી.
ત્યારબાદ આજે મુખ્યમંત્રી કાર્યાલય સુધી અસરગ્રસ્તો પહોંચ્યા હતા. અસરગ્રસ્ત અગ્રણી ઉમેશ ઝડફીયાએ આ મુલાકાત અંગે કહ્યું હતું, ધારાસભ્ય વિનોદ મોરડીયાને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ સરકારના અધિકારીઓને સૂચના આપી છે.. અસરગ્રસ્તોએ પાલિકાની ચૂંટણી પહેલા નિર્ણયની વાત કરી હતી ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું હતું, હાલ ટી.પી. સ્કીમ પ્રિલિમિનરી સ્ટેજમાં હોવાથી તેમાં કોઇ ફેરફાર શક્ય નથી. ટેકનિકલ કારણો અને કાનૂની પ્રક્રિયા ધ્યાનમાં રાખી ઉતાવળે કોઇ જાહેરાત કરી શકાય તેમ નથી. જોકે, સ્કીમ ફાઇનલ થયા બાદ રિઝર્વેશનમાં જરૂરી ફેરફાર કરાશે. તેવું મુખ્યમંત્રીએ કહ્યું હોવાની વાત અસરગ્રસ્ત અગ્રણીએ કહ્યું હતું. મુખ્યમંત્રીએ વિશ્વાસ રાખો તેવો સંદેશો આપતા અસરગ્રસ્તોને ટી.પી સ્કીમ ફાઇનલ થાય તે પહેલા રાહત મળશે તેવો વિશ્વાસ થયો છે.
















