Surat Tank Project Row: ગુજરાતમાં અતિચર્ચિત એવા બે મહિના પહેલા સુરતના તડકેશ્વર ટાંકી કાંડનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ટેસ્ટિંગ સમયે જ તૂટી જતા ભ્રષ્ટાચાર અને કસૂરવારો સામે ઢીલી નીતિ સહિતના આક્ષેપો સાથે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. જોકે સરકારના જવાબ મુજબ ટાંકી બનાવનાર એજન્સી-કોન્ટ્રાક્ટર પાસે હજુ પણ સરકારના 7 કામો છે.
તડકેશ્વર ટાંકીકાંડ: વિધાનસભામાં હોબાળો
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ સુરતના તડકેશ્વરમાં બનેલી પાણીની ટાંકી તૂટવાની ઘટના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ કરતા કહ્યું કે સુરતના તડકેશ્વરમાં 21 કરોડની ટાંકી માત્ર ટેસ્ટિંગમાં જ તૂટી ગઈ અને નવસારીમાં પણ 50 હજાર લીટરની ટાંકીને નુકસાન થયું તેમજ વલસાડમાં પણ સ્લેબ તૂટ્યો. કોંગ્રેસના સમયમાં બનેલી ટાંકીને તોડવા માટે જેસીબી લાવવું પડ્યું હતું.
21 કરોડની યોજના અને 94 લાખની ટાંકીનો વિવાદ
સરકાર દ્વારા તડકેશ્વર ટાંકી કાંડમાં જવાબદારો સામે શું પગલા લેવાયા અને હજુ પણ તે કોન્ટ્રાક્ટર-એજન્સી પાસે કેટલા કામો છે. જ્યારે સરકારના મંત્રીએ બચાવ કરતા કહ્યું કે સુરતના તડકેશ્વર ગામે હરિયાળ સબ હેડવર્કસ ખાતે નવનિર્મિત 9 લાખ લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી હતી ત્યારે આ ટાંકી 21 કરોડની નહીં પરંતુ 94.84 લાખના ખર્ચે બની હતી. પાણી પહોંચાડવાની સંપૂર્ણ યોજના 21 કરોડની છે. આ કામ માટે એજન્સીને 83.45 લાખ રૂપિયા ચૂકવાયા હતા અને પરંતુ ગત 19 જાન્યુઆરીએ આ ઘટના બન્યા બાદ સરકારે એજન્સી પાસેથી 1.04 કરોડની રકમ વસૂલી છે.
આ પણ વાંચો: ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં બિલ લાવ્યું, હવે શું કરશે ભાજપ?
ટાંકીકાંડમાં પોલીસ એક્શન: 8 લોકોની ધરપકડ
ઉપરાંત પીએમસી એજન્સી-કોન્ટ્રાક્ટર સહિતના જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરાઈ છે. 8 લોકોની ધરપકડ થઈ હતી. તમામને દોષિત ફરજ મોકૂફી પર ઉતારાયા હતા. વધુમાં જે એજન્સીના કામ સોંપાયુ હતું તે એજન્સી પાસે નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં હજુ પણ સરકારના 7 કામો છે. રાજ્ય સરકારે 2001થી 2025માં 30 હજારથી વધુ ટાંકીઓ બનાવી હોવાનું કહ્યું હતું પરંતુ આ એજન્સીને બ્લેક લિસ્ટ કેમ ન કરાઈ તે મુદ્દે કોઈ જવાબ ન આપ્યો હતો.
















