![]()
Surat News : સુરતના વેસુની ‘હેપી એલિગન્સ’ બિલ્ડિંગમાં બાલમુકુન્દ નામના વ્યક્તિએ પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જેમાં બાલમુકુન્દ પોતે, તેની પત્ની તથા એક માસૂમ દીકરીના મોત નિપજ્યાં છે. જ્યારે એક પુત્રીનો બચાવ થયો છે. બાલમુકુન્દ ખેતાન ઘરે બેસીને જ શેરબજારની કામગીરી કરતા હતા.
પરિવારનાં ત્રણ લોકોનાં મોત
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુળ બિહારના રહેવાસી બાલમુકુન્દ (પતિ), તેમની પત્ની અને એક માસૂમ દીકરી (ઉંમર 5 થી 7 વર્ષ) ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકોનાં મોત જ્યારે પરિવારની બીજી નાની દીકરીનો આબાદ બચાવ થયો છે.
બિહારનો વતની છે બાલમુકુન્દ
મૃતક બાલમુકુન્દ મૂળ બિહારના વતની હતા અને છેલ્લા બે વર્ષથી સુરતમાં ઘરે બેઠા શેરબજાર (Stock Market) નું કામકાજ કરતા હતા. પરિવારે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સુસાઈડ નોટમાં થયેલા ચોંકાવનારા ખુલાસા
પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાત પાછળના જવાબદાર કારણો અને વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આરોપી વૈભવ રુંગટા મૃતક બાલમુકુન્દને રૂપિયા માટે સતત ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ છે. આરોપીએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ બળજબરીથી પડાવી લીધા હતા.આરોપીએ બાલમુકુન્દના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બિનજરૂરી શોપિંગ પણ કરી હતી, જેના કારણે પરિવાર પર આર્થિક બોજ વધી ગયો હતો.
















