![]()
Surendranagar NA Case: સુરેન્દ્રનગર જિલ્લાના કરોડો રૂપિયાના રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા એન.એ. કૌભાંડમાં તત્કાલીન આરોપી કલેક્ટર રાજેન્દ્ર પટેલને રેગ્યુલર જામીન આપવાનો અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ. સોજીત્રાએ સાફ ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને હજુ જેલમાં જ રહેવું પડશે.
આરોપીની સમગ્ર કૌભાંડમાં સક્રિય અને મુખ્ય ભૂમિકા
કોર્ટે આરોપી કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવતા જણાવ્યું કે, ‘આરોપી અધિકારીઓએ એકબીજાની સાંઠગાંઠમાં એનએ અને સીએલયુ અરજી મંજૂર કરવા માટેના જુદા જુદા દરો નક્કી કર્યા હતા. જેમાં આરોપી પોતે કલેક્ટર હોવાથી લાંચમાં તેનો હિસ્સો ગેરકાયદે રીતે 50 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. રાજેન્દ્ર પટેલને આ સમગ્ર કૌભાંડમાં 3.12 કરોડ રૂપિયાથી પણ વધુની રકમ લાંચ પેટે પ્રાપ્ત થઈ છે. ત્યારે આરોપીની સમગ્ર કૌભાંડમાં સક્રિય અને મુખ્ય ભૂમિકા જોતાં તેને જામીન આપી શકાય નહીં.’
આ પણ વાંચો: ‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!
કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે, ઈડીની મહત્ત્વની તપાસમાં સીએલયુ અરજીઓ સંબંધિત હિસાબ શીટ્સ અને ડિજિટલ પુરાવા બહાર આવ્યા છે. જેમાં સીએલયુ અરજીઓની સંખ્યાની વિગતો હતી જેમાંથી કેટલીકમાં લાંચની રકમ પણ હતી.
અમલીકરણ નિયામકના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર તરીકે અરજદારના સમયગાળા અને સીએલયુ અરજી માટે તેમના 50 ટકા પ્રમાણેના હિસ્સાને ધ્યાનમાં લેતા, જે પ્રક્રિયા મંજૂર કરવામાં આવી હતી, તેમાં પીએમએલએની કલમ 50 હેઠળ નોંધાયેલા હિસાબ શીટ્સ અને સહ-આરોપીઓના નિવેદનો અને ડિજિટલ રેકોર્ડ્સ અનુસાર આરોપીને કુલ 3,12,62,230 રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ છે. ત્યારે આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા ન્યાયના હિતમાં યોગ્ય નહીં લેખાય.















