Delhi BJP ‘Poster War’ On Arvind Kejriwal : રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના ચુકાદાના થોડા કલાકોમાં દિલ્હી ભાજપે આક્રમક પોસ્ટર શેર કરી પ્રહારો કર્યા છે.
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય બાકી : દિલ્હી ભાજપના પ્રહાર
દિલ્હી ભાજપે શેર કરેલા પોસ્ટરમાં કેજરીવાલની મોટી તસવીર જોવા મળી છે અને તેમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના પાપ હજુ ધોવાયા નથી. તેમાં એવું પણ લખાયું છે કે, ‘આ નીચલી કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય બાકી છે. મની લોન્ડ્રિંગ કેસ પેન્ડિંગ છે અને તમે અનેક કૌભાંડોમાં પણ આરોપી છો.’
એજન્સી કોર્ટના આદેશને પડકારશે?
આ ઉપરાંત દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, ‘કોર્ટે સુનાવણી દરમિયાન પુરાવાઓ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તપાસ એજન્સીએ પુરાવાઓ નષ્ટ કરાયા હોવાનો વારંવાર આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, નષ્ટ કરાયેલા કથિત મોબાઇલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા નથી. તેમણે સંકેત આપ્યો છે કે, તપાસ એજન્સી કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ કરવા પર વિચાર કરી શકે છે.’
આ પણ વાંચો : ‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર
‘પોલિસી પરત કેમ ખેંચી, કમિશન કેમ વધાર્યું, યોજનાનો ઉદ્દેશ્ય શું?’
સચદેવાએ લિકર પોલિસી મામલે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે, ‘જો લિકર પોલિસી યોગ્ય હતી તો તપાસ શરુ થતાંની સાથે જ તે પોલિસી પરત કેમ ખેંચવામાં આવી? કોન્ટ્રાક્ટરોનું કમિશન 6 ટકાથી વધારીને 12 ટકા કેમ કરવામાં આવ્યું? બાય વન, ગેટ વન ફ્રી જેવી યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? આવા નિર્ણયોના કારણે સમાજ પર પ્રભાવ પડ્યો છે.’
ભાજપે સ્પષ્ટ કહ્યું એ કે, કોર્ટનો નિર્ણય આ સ્તર સુધી સીમિત છે અને કાયદાકીય પ્રક્રિયા હજુ પેન્ડિંગ છે. સચદેવાએ કહ્યું કે, સંપૂર્ણ ન્યાય પ્રક્રિયા પૂરી થયા બાદ સંપૂર્ણ સત્ય સામે આવશે.’
લિકર પોલિસી કેસમાં કેજરીવાલને રાહત
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ‘ક્લિનચીટ’ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM














