![]()
માધવપુર ઘેડમાં અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતો સચવાયેલી છે : સ્કંદપુરાણમાં બળદેવજીના માંડવાનો ઉલ્લેખઃ શ્રીકૃષ્ણ અને પાંચ પાંડવોએ બ્રહ્મકુંડમાં સ્નાન કરેલું: શ્રીકૃષ્ણે મધુ દૈત્યનો નાશ કરી જે વાવમાં પોતાની ગદા ધોઈ તે ગદાવાવ
પોરબંદર, : પોરબંદર નજીકનું માધવપુર ઘેડ સાંસ્કૃતિક અને ઐતિહાસિક એવી અમૂલ્ય વિરાસતની નગરી છે અને ત્યાં અનેક જોવાલાયક સ્થળોનો પુરાણોમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળ્યો છે. પૌરાણિક પુસ્તકોમાં માધવપુરનાં ઐતિહાસિક સ્થળોની માહિતી રહેલી છે.
*શ્રી માધવરાયનું પુરાણું મંદિરઃ 13 મી સદીનું આ જૂનું મંદિર સમુદ્ર સપાટીથી 200 ફૂટ ઉપર આવેલું વિષ્ણુમંદિર છે. તેનાં વિવિધ શિલ્પો, કલા કારીગીરી, શિખર આ મલક ગર્ભદ્વાર-ગોખનાં શિલ્પો ઉપરથી આ મંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. જૂના મંદિરની અંદર શ્રીમાધવરાયજી શ્રીત્રીકમરાયજીની પૂરા કદની જુગલ-જોડી હતી. આ મંદિરના રિ-સ્ટોરેશનનુ કાર્ય હાથ કરવામાં આવ્યુ છે. *શ્રી માધવરાયજીની નવી હવેલીઃ પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ સં 1896માં જુના મંદિરની પૂર્વ બાજુ આવેલા મુ. 1799ના આ મંદિરને સ્થાને આ હવેલી બંધાવેલી છે. આ મંદિરમાં શ્રી માધવરાય અને શ્રી ત્રીકમરાયની જુગલજોડી બિરાજે છે. આ મંદિરેથી જ માધવરાયજીની જાનનુ લગ્નોત્સવ વખતે પ્રસ્થાન થાય છે. *શ્રી બળદેવજીનો માંડવોઃ સ્કંદપુરાણમાં બળદેવજીના માંડવાનો ઉલ્લેખ છે. ત્રેતાયુગમાં રેવત નામનો રાજા હતો તે રાજા બ્રહ્માજીના ઉપદેશથી પોતાની પુત્રી રેવતી બલદેવજીને આપી ગિરનાર ઉપર તપશ્ચર્યા કરવા ગયા હતા. તીર્થધામ માધવપુરમાં રેવતીકુંડ તથા બલદેવજીનો માંડવો અત્યારે પણ ગામની પૂર્વ બાજુએ સમુદ્રકિનારે પ્રત્યક્ષ છે. *બ્રહ્મકુંડઃ ગામના મુખ્ય દરવાજાની ડાબી બાજુ ઉગમણી દિશાએ બ્રહ્મકુંડ આવેલો છે. બ્રહ્મકુંડને કાંઠે-કિનારે શ્રીકૃષ્ણ ભગવાન અને પાંડવોનાં દહેરાં આવેલાં છે. પુરાણમાં એક કથા છે કે શ્રીકૃષ્ણ ભગવાન પાંચ પાંડવો સાથે અત્રે આવેલા અને બ્રહ્મકુંડમાં પવિત્ર સ્નાન કરેલું.
*મધુવનઃ ગામની ઉગમણી બાજુએ જરા ઇશાન તરફ એક કિ.મી. મધુવન-રૂપણવન આવેલું છે, આ વનમાં મધુ નામનો દૈત્ય રહેતો હતો અને કૃષ્ણ ભગવાને એનો સંહાર કરેલો. આ દૈત્યના નામ ઉપરથી મધુવન નામ પડેલું છે તેમ મનાય છે. *શ્રીમહાપ્રભુજીની બેઠકઃ ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયની કુલ 84 બેઠક છે તે માંહેની આ એક છે. પુષ્ટિમાર્ગ પ્રવર્તક આચાર્ય શ્રીવલ્લભાચાર્યજી અહી આવેલા અને 7 દિવસ સુધી શ્રીમાગવત રસપાન કરાવેલું. શ્રીમહાપ્રભુજીની બેઠક પાસે પ્રાચીન કદમ કુંડ આવેલો છે. *ચોરી માયરાઃ ભગવાન શ્રીકૃષ્ણના રુકમિણી સાથે જે જગ્યાએ મધુવનમાં વિવાહ ગોધલિક સમયે થાય છે તે સ્થાન ચોરી માયરા નામે ઓળખાય છે. *ગદાવાવ ઃ શ્રીકૃષ્ણે મધુ દૈત્યનો નાશ કરી આ વાવમાં પોતાની ગદા ધોઈ હતી તેથી આ વાવનું નામ ગદાવાવ પડયું કહેવાય છે. *ગણેશજાળુંઃ માધવરાયજીના પુરાણા મંદિરની ઉત્તરે સમાંતરે સમુદ્રતટે જમણી સુંઢના ગણપતિનું જૂનું સ્થાપત્યના ઉત્તમોત્તમ નમૂના સમું ગણેશનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ગણેશનાં અનેક શિલ્પ છે, જેથી એના સમૂહને ગણેશજાળું નામ આપવામાં આવ્યું છે. *મહારાણીનો મઠ:આ સ્થાન રુકમિણીના માવતરને સ્થાન તરીકે ઓળખાય છે. આ સ્થાનમાં શ્રીકૃષ્ણ-રૂકમિણીનું હસ્ત મેળાપવાળું એક સુંદર નયનરમ્ય જુનું શિલ્પ પણ છે.
ચામુંડા માતાજીની ટેકરી, નિલકંઠ મહાદેવ, નાગબાઈની જગ્યા, રામદેવજીનું મંદિર, તારાપુરી આશ્રમ, વિષ્ણુ મંદિર પણ દર્શનીય
ચામુંડા માતાજીની ટેકરી પર ચામુંડા માતાજીનું જૂનું મંદિર આવેલું છે. અહીંથી સમસ્ત ઘેડ પ્રદેશની હરિયાળીનું તથા મધુવંતી નદીનું દર્શન થાય છે. નીલકંઠ મહાદેવનું મંદિર મધુવનમાં આવેલું છે. મંદિરના પાછળના ભાગમાં એક ગુફા હજુ પણ મોજુદ છે. આ સ્થાન બૌદ્ધકાલીન હોય એમ પણ લાગે છે. મધુવનથી છેડે દૂર ચારણ આઈ નાગબાઈની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. પાદર (જાપો)માં જે સ્થળે મેળો ભરાય છે તે સ્થાનમાં શ્રીરામદેવજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ સ્થળે અગાઉ ઋષિ મુનિઓ તપ કરતા હતા તેથી આ જગ્યાનું નામ ઋષિતળ પડયું છે. તારાપુરી આશ્રમની સ્થાપના સંત અમરપુરી અને મહાત્મા તારાપુરીએ કરી છે. આ આશ્રમમાં નટવરકુંડ આવેલો છે. મૂળ માધવપુરમાં એક નાનુ વિષ્ણુમંદિર આવેલું છે. આ મંદિર પુરાણું હોય એમ મનાય છે.















