![]()
Vinod Khosla AI prediction 2030 IT BPO: પ્રખ્યાત ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ અને રોકાણકાર વિનોદ ખોસલાએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે, ‘IT અને BPO સેવાઓનું ભવિષ્ય લાંબું નથી. આ ઉદ્યોગ 2030 સુધીમાં સમાપ્ત થઈ જશે.’ આ સાથે, તેમણે ભારતીય IT કંપનીઓને સલાહ આપી છે કે જો તેઓ ભવિષ્યમાં ટકી રહેવા માંગતા હોય તો તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) પર ઝડપથી કામ કરવું જોઈએ. ભવિષ્યમાં જો તેઓ સમગ્ર વિશ્વને AI સેવાઓ પૂરી પાડી શકે છે, તો તેમના માટે ટકી રહેવું સરળ બનશે. તેમણે કહ્યું કે, ‘કોઈપણ ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પરંતુ અમારો અંદાજ છે કે 2030 થી 2035 ની વચ્ચે, IT અને BPOનો વ્યવસાય સમાપ્ત થઈ જશે.’
4 વર્ષમાં IT અને BPO સેક્ટરમાં નોકરીઓ ખતમ થઈ જશે
વિનોદ ખોસલાએ કહ્યું કે, ‘આપણે ફક્ત આપણા જૂના વ્યવસાયને વળગી રહી શકતા નથી. તેના બદલે આપણે તેમને નવી સેવાઓ પૂરી પાડવી પડશે. વિશ્વ હજુ ભારત જેટલું AI સાથે તાલ મિલાવવા સક્ષમ નથી. મહત્ત્વનું છે કે, તેમની પાસે પશ્ચિમી દેશો પાસેથી ટેકનોલોજી ખરીદવાનો વિકલ્પ છે, જે ખૂબ મોંઘી છે અથવા આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, જેમની પાસે ખૂબ ઓછી જાણકારી છે. ભારતીય કંપનીઓ સમગ્ર વિશ્વમાં AI સેવાઓ પૂરી પાડી શકે છે. આ આપણા માટે શ્રેષ્ઠ તક છે. મુખ્ય વાત એ છે કે જે લોકો આ સમયમાં ઝડપથી આગળ વધે છે અથવા પરિવર્તન સ્વીકારે છે તેમને જ તક મળશે.’
શું AIની ગતિ વધવાથી નોકરીઓ જશે અને તેનાથી કેવી રીતે બચવું, આ મામલે વિનોદ ખોસલાએ જણાવ્યું કે ‘ભવિષ્યમાં દરેક દેશ આ ક્ષેત્રમાં આગળ વધશે. તમે જોશો કે AIને કારણે ઉત્પાદકતા વધશે અને ઓછા લોકોની જરૂર પડશે. આગામી 15 વર્ષ આ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આવનારા સમયમાં વસ્તુઓ અને મનોરંજન સસ્તા થશે. જો આપણે તેના પર નજર કરીએ તો, 2050 સુધીમાં ઘણા બધા ફેરફારો થઈ ગયા હશે.’
આ પણ વાંચો: ટ્રમ્પે અલ્ટિમેટમ આપતાં એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ
AI દરેક ભારતીય માટે એક વ્યક્તિગત ડૉક્ટર અને ખેડૂતો માટે વૈજ્ઞાનિકો પૂરા પાડશે: ખોસલા
ખોસલાએ કહ્યું કે, એવું પણ શક્ય છે કે, દરેક ભારતીય પાસે વ્યક્તિગત ડૉક્ટર હોય અને તેઓ દરેક સમયે ઉપલબ્ધ રહેશે. જેના કારણે લોકોના સ્વાસ્થ્યની સંભાળ રખાશે, જે હાલમાં ખૂબ મોંઘી છે. આ સિસ્ટમને આધાર સાથે જોડી શકાય છે. આ સાથે દેશમાં 25 કરોડ બાળકો એવા છે જે AI ટ્યુટરનો ઉપયોગ કરીને અભ્યાસ કરી શકે છે.
દેશમાં લાખો ખેડૂતો એવા છે જેઓ ખૂબ જ નાની જમીન પર કામ કરે છે અને તેમની પાસે બહુ સમજણનો અભાવ છે. આમ, AI દ્વારા ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકો જેવી સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
















