![]()
Supreme Court AI Generated Fake Citations: સુપ્રીમ કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા દુરુપયોગ અંગે કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે વકીલો દ્વારા AIની મદદથી તૈયાર કરાતી અરજીઓ અને તેમાં ટાંકવામાં આવતા સંદર્ભો અંગે અત્યંત નારાજગી વ્યક્ત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, AI દ્વારા તૈયાર અરજીઓમાં એવા કેસના ઉલ્લેખ જોવા મળ્યા હતા, જેનું અસ્તિત્વ જ નથી.
આ પ્રકારનું વલણ અત્યંત ગંભીર
આ પ્રકારના નકલી ચુકાદા (Fake Judgments) અંગે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે વકીલોને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારનું વલણ અત્યંત ગંભીર અને અયોગ્ય છે. વકીલો એવી કાનૂની દલીલો અને ચુકાદા રજૂ કરી રહ્યા છે જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. આ બધા કારણસર અદાલતો અને જજો પર કામનું ભારણ વધી રહ્યું છે કારણ કે તેમણે દરેક સંદર્ભની સત્યતા તપાસવી પડે છે.
જૂના જમાનાના દિગ્ગજ વકીલોને યાદ કર્યા
આ અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્નાએ એક કિસ્સો ટાંકતા કહ્યું કે તાજેતરમાં મને ‘મર્સી વિરુદ્ધ મેનકાઈન્ડ’ નામના ચુકાદાનો સંદર્ભ મળ્યો હતો જે સદંતર ખોટો હતો. આવી જ રીતે જસ્ટિસ દીપાંકર દત્તાની કોર્ટમાં પણ અનેક નકલી ચુકાદા રજૂ કરાયા હતા. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ પણ વકીલોમાં લીગલ ડ્રાફ્ટિંગની સ્કિલ ઘટી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જૂના જમાનાના દિગ્ગજ વકીલોના સચોટ અને મૌલિક ડ્રાફ્ટિંગને યાદ કર્યા હતા.
આ પણ વાંચો: રાજપાલ યાદવ થયો જેલ મુક્ત, તિહાર જેલથી બહાર આવતા જ કહ્યું- ‘…તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું’
ઉલ્લેખનીય છે કે, અગાઉ બોમ્બે હાઈકોર્ટે AI દ્વારા તૈયાર કરાયેલી અરજી મુદ્દે દંડ ફટકાર્યો હતો, જે દર્શાવે છે કે ન્યાયતંત્રમાં AIનો વગર વિચાર્યે કરાતો ઉપયોગ એક પડકાર બની ગયો છે.
















