Paisa Wasool Vacation: વેકેશન માણવાનો મુખ્ય હેતુ આરામ કરવો અને શારીરિક-માનસિક તાજગી મેળવવાનો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોની પ્રવાસ કરવાની માનસિકતા બદલાઈ રહી છે. ઘણાં લોકો માટે રજાઓ હવે આરામ કરવાનો સમય નથી, પરંતુ ‘પૈસા-વસૂલ કરવાનો પ્રોજેક્ટ’ બની ગઈ છે. પ્રવાસમાં ખર્ચેલા દરેક રૂપિયાનો સંપૂર્ણ લાભ લેવા માટે પ્રવાસીઓ એવી અનેક ભૂલો કરે છે, જેને લીધે પ્રવાસ તન-મનથી તરોતાજા કરવાને બદલે થકવી નાંખે છે.
‘પૈસા-વસૂલ પ્રવાસ’ માનસિકતા શું છે?
‘પૈસા-વસૂલ પ્રવાસ’ એવો વિચાર છે, જેમાં પ્રવાસમાં ખર્ચેલા એકે એક રૂપિયો વસૂલવાનો પ્રયાસ થાય છે. લોકો માને છે કે તેમણે જે સ્થળે જવા માટે ખર્ચ કર્યો હોય ત્યાંના દરેક પ્રવાસન સ્થળ, કેફે અને બજારની મુલાકાત લેવી જ જોઈએ. તો જ ‘પૈસા વસૂલ પ્રવાસ’ કર્યો કહેવાય.
પૈસા વસૂલ પ્રવાસ કરવા માટે લોકો એવું કરે છે, જેથી આખી ટુરની જ મજા બગડી જાય છે. જેમ કે…
– વહેલી સવારથી મોડી રાત સુધીનું ફિક્સ શેડ્યૂલ ગોઠવી કાઢવું.
– ‘ચેકલિસ્ટ’ પૂરું કરવા એક દિવસમાં 5થી 8 સ્થળની મુલાકાત લેવા માટે ભાગદોડ.
– આરામ કરવા માટેનો સમય જ નહીં ફાળવવાનો.
– ‘આવ્યા છે તો આ પણ જોઈ જ લઈએ’ જેવી માનસિકતા કેળવીને નવા-નવા સ્થળો પ્રવાસમાં ઉમેરતા જવા.
વધુમાં વધુ ફરવાની લ્હાય શારીરિક-માનસિક સમસ્યા સર્જે છે
પ્રવાસમાં ચુસ્ત શેડ્યુલ અને એક સ્થળેથી બીજા સ્થળે જવાની દોડાદોડીને લીધે લોકો શારીરિક અને માનસિક રીતે થાકી જાય છે. આરામનો સમય જ ન હોવાથી પ્રવાસ આનંદદાયક બનાવવાના બદલે થાકદાયક બની જાય છે, જેને લીધે ચીડિયાપણું, તણાવ અને ‘ફરવાનો સમય પૂરતો નથી’ જેવી ચિંતા થાય છે. આ ઉપરાંત ઊંઘ પૂરી ન થવી, સતત થાક લાગવો, માથાનો દુખાવો થવો જેવી શારીરિક સમસ્યાઓ પણ સર્જાય છે.
આ પણ વાંચો: 5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો
પિક સિઝન પણ પ્રવાસની મજા બગાડે છે.
ભારતમાં લાંબા વિકએન્ડ, ઉનાળાની રજાઓ અને તહેવારોમાં લોકપ્રિય સ્થળો પર ફરવા જવાનું ચલણ છે. તેનું કારણ એ છે કે, એ સિવાય આખા કુટુંબ કે ગ્રૂપની રજાઓનો મેળ પડવામાં મુશ્કેલી પડતી હોય છે, જેને લીધે પ્રવાસીઓ નીચે મુજબની તકલીફ ભોગવે છે.
– હોટેલના ભાવ બેથી ચાર ગણા વધી જતાં પ્રવાસ ખર્ચ વધારે આવે છે.
– ટ્રાફિક જામમાં કલાકો બરબાદ થાય છે. મનાલી, શિમલા, ગોવા, ઉદયપુર, ઋષિકેશ જેવા અનેક સ્થળે પિક સિઝનમાં વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે.
– જોવાલાયક સ્થળોની ટિકિટ માટે લાંબી લાઇન લાગે છે.
– જ્યાં જુઓ ત્યાં ભારે ભીડ જોવા મળે છે, જેને કારણે જે-તે સ્થળ નિરાંતે જોવા-માણવાનો આનંદ ઘટે છે.
– હિલ સ્ટેશનોમાં પાર્કિંગની ગંભીર સમસ્યા ઊભી થાય છે.
– પ્રવાસીઓનો સમય કુદરત માણવામાં નહીં, પરંતુ તેમનો વારો આવે એની રાહ જોવામાં જાય છે.
આ સ્થિતિ પ્રવાસનો આનંદ આપવાને બદલે પ્રવાસીઓને હતાશામાં ધકેલી દે છે.
સોશિયલ મીડિયા અને FOMO નો પ્રભાવ
Facebook, Instagram, YouTube જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળતી travel reels એ લોકોની પ્રવાસને લગતી માનસિકતા બદલવામાં મોટી ભૂમિકા ભજવી છે. લોકો હવે અનુભવ માટે નહીં પરંતુ સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો મૂકીને લોકોને દેખાડવા માટે પ્રવાસ કરવા જાય છે. જે તે સ્થળને મનભરીને જોવા-માણવાને બદલે લોકો મોબાઇલ ખોલીને ફોટો-વીડિયો લેવામાં અને તે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. બીજા લોકોએ પ્રવાસ દરમિયાન જે કંઈ કર્યું હોય એ પોતે ન કરી શકે તો લોકોને Fear of Missing Out (FOMO) નો ડર સતાવવા લાગે છે. ‘કંઈમાં બાકી ન રહી જવાની માનસિકતા’ પ્રવાસનો અસલી આનંદ લેવા દેતી નથી, જે પછી થાકમાં પરિણમે છે.
પ્રવાસમાં પણ સ્ત્રીઓની જવાબદારી ઓછી નથી થતી
ભારતીયો મોટા ભાગે સહકુટુંબ ફરવા જતા હોય છે. વધારે લોકો જાય એટલે સામાન પણ ઘણો હોય. ખાસ કરીને ગુજરાતીઓ તો થેલા ભરી ભરીને નાસ્તા લઈ જતા હોય છે. સામાન બાંધવા અને નાસ્તાની તૈયારી કરવી એ બધી જવાબદારીઓ મોટા ભાગે સ્ત્રીઓને ભાગે આવતી હોવાથી તેમનું કામ પ્રવાસ દરમિયાન પણ વધી જતું હોય છે. ચીજવસ્તુઓની ખરીદી અને પેકિંગ ઉપરાંત બાળકોની દેખરેખ, પ્રવાસ આયોજન અને પ્રવાસ દરમિયાન ‘પરિવારના બધા લોકોને બધું મળી રહે’ એ જવાબદારી પણ સ્ત્રીઓને ફાળે આવતી હોવાથી મોટા ભાગની સ્ત્રીઓ માટે વેકેશન આરામનો નહીં પરંતુ વધુ કામનું સ્વરૂપ ધારણ કરી લે છે. વળી, ગુજરાતીઓના તો મોટા ભાગના નાસ્તા પણ પૌષ્ટિક નથી હોતા, તે પાછી લાંબા ગાળે આરોગ્યને લગતી મુશ્કેલીઓમાં પણ વધારો કરે છે.
આ પણ વાંચો: Explainer: ફ્રેન્ડશિપને પણ મોંઘવારીનું ગ્રહણ, જાણો કેવી રીતે ‘ફ્રેન્ડફ્લેશન’ શહેરી યુવાનોને એકલા પાડી રહ્યું છે
પ્રવાસ કરીને થાકવું ન હોય અને ખરેખર આનંદ માણવો હોય, તો નીચેના ઉપાયો અજમાવી શકાય.
1. ધીમી મુસાફરી : તાજેતરમાં ‘ધીમી મુસાફરી’ એટલે કે ‘સ્લો ટ્રાવેલ’નો વિચાર લોકો અપનાવી રહ્યા છે. એમાં ઓછા સ્થળોની મુલાકાત લેવાની હોય છે, અને જ્યાં જાવ ત્યાં બધું ઉપરછલ્લું જોવાને બદલે નિરાંત જીવે, પૂરતો સમય ફાળવીને ફરવાનું હોય છે. સ્થાનિક સંસ્કૃતિનો અનુભવ કરવાનો હોય છે, સ્થાનિકો સાથે સંવાદ કરવાનો હોય છે, એમના તહેવાર હોય તો એમાં સામેલ થવાનું હોય છે, કુદરતી વાતાવરણમાં ખોવાઈ જઈને શાંતિનો આનંદ માણવાનો હોય છે. ધીમી મુસાફરી કરવાથી શરીરને થાક લાગતો નથી. તણાવ થતો નથી. ઓછું પણ સારું જોયાનો સંતોષ મળે છે. ખર્ચ પણ ઓછો આવે છે.
2. ઓફ સિઝનમાં પ્રવાસઃ શક્ય હોય તો પ્રવાસીઓની ભીડ જામે એવી તારીખોને બદલે વેકેશન શરૂ થાય એ પહેલાં અથવા સિઝન પતી જાય એ પછી પ્રવાસ ગોઠવો.
ઓફ સિઝનમાં પ્રવાસ કરવાના ફાયદા એ છે કે, હોટલો અને વાહનોની ઉપલબ્ધતા વધી જાય છે. બંનેમાં વિકલ્પો મળે છે, જેથી ખર્ચ ઓછો આવે છે. જોવાલાયક સ્થળો અને જમવાના સ્થાને ભીડ નથી હોતી, લાઇનોમાં ઊભા નથી રહેવું પડતું.
3. નજીકના સ્થળે રિલેક્સ કરોઃ લોકો બે દિવસની રજા મળે એમાંય દૂરના સ્થળે જવાનો મોહ રાખતા હોય છે. એમ કરવાને બદલે તમારા શહેરની નજીકના કોઈ સ્થળે સારા રિસોર્ટ કે કુદરતી સ્થળે આવેલા હોમ સ્ટેમાં રહીને રિલેક્સ થઈ શકો. ગ્રામ્ય જીવનમાં મહાલવાનો આનંદ માણીને પણ તમે રોજિંદી શહેરી ભાગદોડમાંથી છુટકારો મેળવી શકો છો.
4. ઘરે રહીને રજાનો આનંદ માણોઃ રજા મળી એટલે ફરવા નીકળી જ પડવું એવું જરૂરી નથી. ઘરે રહીને મનગમતી પ્રવૃત્તિઓ કરવી, મિત્રો સાથે ખાણી-પીણીની મહેફિલ જમાવવી, ફિલ્મો જોવી, પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવો, વગેરે કરી શકાય. ઘરે રહીને આરામ કરવો પણ માનસિક આરોગ્ય માટે લાભદાયક છે.
5. ફોટો-વીડીયોનો અતિરેક ટાળોઃ ફક્ત ફોટો-વીડીયો લઈને દુનિયાને દેખાડવા માટે નહીં, ફરવાનો અનુભવ લેવા માટે પ્રવાસ કરો. ફોટા-વિડીયો લેવાની ના નથી, પણ એની મર્યાદા રાખો.
6. આરામ માટે સમય રાખોઃ આખો દિવસ ફર્યા કરવું જરૂરી નથી. કોઈ સ્થળે નિરાંતે બેસીને કુદરતને જોયા કરો, ચાલો અથવા ધ્યાન-યોગ કરો.
7. જવાબદારીઓ વહેંચોઃ પરિવારના કોઈ એક વ્યક્તિ પર બધો બોજ નાંખવાને બદલે પ્રવાસના આયોજનની જવાબદારી બધા સભ્યો વચ્ચે વહેંચી લો. બાળકો અને કિશોરોને પણ કામ સોંપો. એમ કરીને તમે એમનામાં કંઈક નવું કર્યાનો આત્મવિશ્વાસ જગાવશો, અને એમનામાં પ્રવાસ વિશેની સભાનતા કેળવશો.














