![]()
Maulana Abdullah Salim Chaturvedi : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના માતા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર મૌલાના અબ્દુલ સલીમ હવે કાયદાના સકંજામાં છે. ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે(STF) એક મોટા ઓપરેશન હેઠળ આરોપી મૌલાનાની બિહારથી ધરપકડ કરી બહરાઈચની અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
મૂળ બિહારનો રહેવાસી મૌલાના અબ્દુલ સલીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના માતા વિશે અત્યંત અભદ્ર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ હિન્દુ સંગઠનો અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. બહરાઈચ સહિત યુપીના અનેક જિલ્લાઓમાં ધાર્મિક લાગણી દુભાવવા અને આઇટી ઍક્ટ હેઠળ મૌલાના વિરુદ્ધ ગુના નોંધાયા હતા.
STFની કડક કાર્યવાહી અને ધરપકડ
મામલાની ગંભીરતાને જોતાં ઉત્તર પ્રદેશ સરકારે તપાસ STFને સોંપી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી STFની ટીમે બિહારમાં દરોડો પાડી અબ્દુલ સલીમને દબોચી લીધો હતો. સોમવારે તેને બહરાઈચ પોલીસને સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના કાયદાકીય સેલના જિલ્લા પ્રમુખ અજીત પ્રતાપ સિંહે 8 માર્ચે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત
પોલીસે કરી આકરી પૂછપરછ
બહરાઈચ પહોંચતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બંધ બારણે મૌલાનાની અંદાજે 30 મિનિટ સુધી સઘન પૂછપરછ કરી હતી. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળ કોઈ મોટું ષડયંત્ર કે કોઈ સંગઠનનો હાથ તો નથી ને? પૂછપરછ બાદ કડક સુરક્ષા વચ્ચે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેને જેલ મોકલી આપ્યો છે.
તંત્રની ચેતવણી
સીઓ નારાયણ દત્ત મિશ્રાએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચે કે બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ અને તેમના પરિવાર પર અભદ્ર ટિપ્પણી કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા સેલ સતત આવી પોસ્ટ પર નજર રાખી રહ્યું છે.















