![]()
– ખેડા જિલ્લામાં ‘શ્વેતક્રાંતિ’ બાદ હવે ‘મધુક્રાંતિ’, મધમાખી પાલન દ્વારા પ્રગતિશીલ ખેડૂતોની કરોડોની કમાણી
– આપત્તિને અવસરમાં ફેરવી : કોરોના કાળમાં ખાનગી કંપનીની નોકરી ગુમાવ્યા બાદ ખેડૂતે આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે માત્ર 10 પેટીથી મધમાખી પાલન શરૂ કર્યું, જે આજે 4000 પેટીઓ સુધી પહોંચ્યું
નડિયાદ : ખેડા જિલ્લો દૂધ ઉત્પાદન અને ‘શ્વેતક્રાંતિ’ માટે જાણીતો છે, ત્યાં હવે મધમાખી પાલન દ્વારા ‘મધુક્રાંતિ’નો ઉદય થયો છે. મહેમદાવાદ તાલુકાના જાળીયા ગામે મધમાખી પાલનના વ્યવસાયમાં અપ્રતિમ સફળતા મેળવનારા અર્જુનભાઈ ઝાલાએ વર્ષ ૨૦૨૫-૨૬માં રૂપિયા ૧.૫૦ કરોડની માતબર આવક મેળવી ખેતી અને બાગાયત ક્ષેત્રે એક નવી રાહ ચીંધી છે. જિલ્લામાં હાલમાં ૩૦૦થી વધુ ખેડૂતો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની પાસે અંદાજે ૫૦૦૦ જેટલી મધમાખી પેટીઓ ઉપલબ્ધ છે. સરકારી સહાય અને ખેડૂતોની મહેનતના પરિણામે મધમાખી પાલન હવે ખેડા જિલ્લામાં આર્થિક ઉપાર્જન માટેનો એક ઉભરતો અને અત્યંત નફાકારક વ્યવસાય બની રહ્યો છે.
મહેમદાવાદ તાલુકાના જાળીયા ગામના ખેડૂત અર્જુનભાઈ ઝાલાએ આપત્તિને અવસરમાં ફેરવી ‘મધુક્રાંતિ’ની શરૂઆત કરી હતી. કોરોના કાળમાં ખાનગી કંપનીની નોકરી ગુમાવ્યા બાદ તેમણે આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે બાગાયત ખાતાની મદદથી માત્ર ૧૦ પેટીથી મધમાખી પાલન શરૂ કર્યું હતું, જે આજે ૪૦૦૦ પેટીઓ સુધી પહોંચી ગયું છે. તેમનો આ વ્યવસાય હાલમાં દેશના ૧૭ જેટલા રાજ્યોમાં વિસ્તર્યો છે. ગત વર્ષે તેમની આવક ૮૯થી ૯૦ લાખ રૂપિયા હતી, જે આ વર્ષે વધીને ૧.૫૦ કરોડને પાર કરી ગઈ છે. તેમના આ સફળ પ્રયોગથી પ્રેરાઈને જિલ્લાના અન્ય ખેડૂતો પણ મધમાખી પાલન તરફ વળ્યા છે. જાળીયા ગામમાં યોજાયેલા એક દિવસીય પરિસંવાદમાં નાયબ બાગાયત નિયામક દ્વારા પણ ખેડૂતોને આ વ્યવસાયમાં મળતી સરકારી સહાય અને ટેકનિકલ માર્ગદર્શન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લામાં અમુલ પ્રોજેક્ટ અંતર્ગત પણ ખેડૂતોને ૭૫ ટકા સબસિડી સાથે આ વ્યવસાયમાં જોડવામાં આવ્યા છે, જેના કારણે અનેક નાના ખેડૂતો લાખો રૂપિયાનો નફો રળી રહ્યાં છે.
મધ સિવાયના આડપેદાશો અને મેડિકલ ઉપયોગથી વધારાની કમાણી
મધમાખી પાલન માત્ર મધ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાંથી મળતા વિવિધ તત્વોમાંથી સાબુ, દવા, સ્પ્રે અને અગરબત્તી જેવી ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ આ વ્યવસાય નવી દિશા ખોલી રહ્યો છે. ડાયાબિટીસ અને સાંધાના વા જેવી બીમારીઓથી પીડાતા લોકો મધમાખીના ડંખ દ્વારા સારવાર મેળવવા માટે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કરી રહ્યાં છે, જેમાંથી પણ ખેડૂતોને સારી એવી વધારાની આવક પ્રાપ્ત થઈ રહી છે.
બાગાયતી પાકોમાં પરાગનયન દ્વારા ઉત્પાદનમાં વધારો
મધમાખી પાલનનો મુખ્ય ફાયદો એ છે કે તે ખેતરના પાકમાં પરાગનયનની પ્રક્રિયા ઝડપી બનાવે છે. નેનપુર ગામના ખેડૂત જેઠાભાઈ પરમાર અને અન્ય પશુપાલકોના મતે, ખેતરમાં મધમાખીની હાજરીથી પાક પરની જીવાતોમાં ઘટાડો થાય છે અને પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આમ, ખેડૂતો માટે મધની આવક તો મળે જ છે, સાથે પાક ઉત્પાદન વધતા ડબલ ફાયદો થાય છે.















